ગાંધીધામ, તા. 13 : મુંદરાના મોટા કાંડાગરા પાટિયાથી
નાની ખાખર વચ્ચે ડમ્પરે બાઇકને હડફેટમાં લેતાં ફરાદીના ભૂપતસિંહ નટુભા તુંવર (ઉ.વ.
24)નું મોત થયું હતું. બીજીબાજુ
વાગડમાં સરહદ ઉપર ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાન સોનુવાલે મોહન પાંડુરંગ (ઉ.વ.
58)એ જીવ ખોયો હતો તેમજ અંજાર
મેઘપર બોરીચીમાં ધર્મેન્દ્રસિંહ અશોકાસિંહ જાડેજા (ઉ.વ. 32)નું કોઇ કારણે મોત થયું હતું
અને ગાંધીધામમાં 40 વર્ષીય અજાણ્યા
યુવાનની લાશ મળી આવી હતી. મોટા કાંડાગરા પાટિયાથી નાની ખાખર વચ્ચેના ધોરીમાર્ગ ઉપર
તા. 12/6ના રાત્રે 12 વાગ્યાના અરસામાં જીવલેણ અકસ્માત
સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ફરાદીનો ભૂપતસિંહ નામનો યુવાન બાઇક નંબર જી.જે. 12 એચ.બી. 5892 લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન, સામેથી આવતા ડમ્પર નંબર જી.જે. 39 ટી. 9267ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ
ગુમાવી દઇ આ બાઇકને હડફેટમાં લેતાં ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જેમાં તેણે
જીવ ખોયો હતો. ડમ્પર ચાલક વિરુદ્ધ મહાવીરસિંહ નટુભા તુંવરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
હતી. બીજીબાજુ વાગડની સરહદે બી.ઓ.પી. ફોવર્ડ બી.એસ.એફ. બટાલિયન-21ના જવાન સોનુવાલે પાંડુરંગ પોતાની ફરજ બજાવી
રહ્યા હતા દરમ્યાન, અચાનક છાતીમાં
દુ:ખાવો થતાં તેમને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં સારવાર
દરમ્યાન આ જવાને છેલ્લાશ્વાસ લીધા હતા. વધુ એક બનાવ મેઘપર બોરીચીમાં મારૂતિનગરમાં બન્યો
હતો. મૂળ લલિયાણાના ધર્મેન્દ્રસિંહ નામનો યુવાન મકાન નંબર 173માં બેભાન મળી આવ્યો હતો. તેને
સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનના મોતના
પ્રકરણમાં આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અપમૃત્યુનો ત્રીજો બનાવ ગાંધીધામ રેલવે
મથકના ગેટ આગળ મેલડી માતાના મંદિર પાસે બન્યો હતો. અહીંથી 40 વર્ષીય એક અજાણ્યો યુવાન બેભાન
મળી આવ્યો હતો તેને સારવાર માટે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ યુવાન કોણ છે તે હજુ બહાર આવ્યું નથી જેની તપાસ પોલીસે હાથ ધરી છે.