ગાંધીધામ, તા. 29 : રાપર તાલુકાના અમરાપર ગામમાં
રહેનાર પરિણીત એવા કાનજી દેવા કોળી (ઉ.વ. 30) અને જમનાબેન ખેતા કોળી (ઉ.વ. 19)એ પલાંસવાના એક ખેતરમાં જઇને
સજોડે ગળેફાંસો ખાઇ લઇ પોતાના જીવ દીધા હતા. બનાવને પગલે ગમગીની સાથે ચકચાર પ્રસરી
હતી. અમરાપરમાં ગામમાં રહેનાર કાનજી કોળી અને જમનાબેન કોળીની ગઇકાલે ઢળતી બપોરે પલાંસવાના
ખેતરમાં લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કાનજી પરિણીત છે, પરંતુ
ઘણા સમયથી એકલો રહે છે, જ્યારે યુવતીની સગાઇ કે લગ્ન થવાના હતા.
એક જ ગામમાં રહેનાર આ બંને ગત તા. 26-4ના રાત્રે નવ વાગ્યાથી ગુમ હતા. પરિવારજનોએ બંનેની શોધખોળ પણ
કરી હતી. બંનેનો કયાંય પતો લાગ્યો ન હતો. દરમ્યાન આ બંને પલાંસવા ગામની સીમમાં ગાગોદર
કેનાલની બાજુમાં આવેલા નોંઘાભાઇ માળીના ખેતરમાં પહોંચ્યા હતા, જ્યાં એક ઝાડમાં રસ્સો બાંધી બંનેએ અગમ્ય કારણોસર
ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ પ્રકરણમાં પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણ જેવું
હોવાનું જણાય છે, તેવું પી.આઇ. જે.એમ. વાડાએ જણાવ્યું હતું. તેમ
છતાં ખરેખર કેવા કારણોસર તેમણે સજોડે જીવ દીધો હશે તેની આગળની વધુ તપાસ હાથ ધરવામાં
આવી છે. એકીસાથે બેનાં મોતને પગલે ગમગીની સાથે ચકચાર પ્રસરી હતી.