નવી દિલ્હી, તા. 29 : જમ્મુ-કાશ્મીરના
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત સક્રિય જોવા મળી રહી છે. પાકિસ્તાન
પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી
ઉચ્ચસ્તરીય બેઠકમાં મોદીએ દેશના સશસ્ત્ર દળોને આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા
માટે છૂટો દોર આપ્યો છે. સેનાને બદલો લેવાનો
સમય, લક્ષ્ય અને પદ્ધતિ પોતાની રીતે નક્કી કરવાની
સ્વતંત્રતા છે તેમ કહ્યું હતું. સેના આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવા માટે કોઈપણ જરૂરી
પગલાં લેવા સક્ષમ છે તેમ પણ ઉમેર્યું હતું. આ બેઠકમાં અમરનાથ યાત્રાના પગલે નાગરિકોની
સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે પણ મોદીએ નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં સંરક્ષણમંત્રી
રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીફ ઓફ
ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણ હાજર હતા, તો આર્મીવડા
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવીવડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને
વાયુસેનાના વડા માર્શલ અમરપ્રીત સિંઘ પણ હાજર હતા. આ પહેલાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ
મોહનના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ઉચ્ચ બેઠક બાદ વડાપ્રધાન અલગથી સંઘના
પ્રમુખ મોહન ભાગવતને પણ મળ્યા હતા અને વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સમાચાર એજન્સી
પીટીઆઈના જણાવ્યા મુજબ, મોદીના નેતૃત્વમાં મળેલી આ મહત્વપૂર્ણ
બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં
સેના, નૌકાદળ અને વાયુસેનાને કોઈપણ પ્રકારની અડચણનો સામનો નહીં
કરવો પડે. ભારત આતંકવાદને નેસ્તનાબૂદ કરવાની નીતિ જાળવી રાખશે અને તેના દળો આ ખતરાને
જડમૂળથી નષ્ટ કરવા માટે સ્વતંત્ર છે. સેનાની ક્ષમતા અને સમર્પણની પ્રશંસા કરતાં તેમણે
કહ્યું હતું કે, દેશને તેના સશસ્ત્ર દળો પર સંપૂર્ણ વિશ્વાસ છે. દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પહેલગામ હુમલા પછીની
સુરક્ષા પરિસ્થિતિ, આતંકવાદીઓ સામે સુરક્ષા દળો દ્વારા ચલાવાઈ
રહેલા અભિયાન અને ભવિષ્યની રણનીતિ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, તો આગામી સમયમાં યોજાનારી અમરનાથ યાત્રાના પગલે નાગરિકોની સુરક્ષામાં કોઈ ચૂક
ન રહે તે માટે પણ ખાસ નિર્દેશ આપ્યા હતા. આ પહેલાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની
અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ત્રણેય અર્ધલશ્કરી દળના વડા અને અન્ય બે સુરક્ષા
સંગઠનના અધિકારીઓ જોડાયા હતા. જો કે, તેના એજન્ડા વિશે સત્તાવાર
જાણકારી અપાઈ નહોતી.