• સોમવાર, 12 મે, 2025

અબ્દુલ્લાહનું આત્મમંથન : આતંકના અંતનો આરંભ?

પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ નાગરિકોની કત્લેઆમ કરી તેના વિરોધમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આક્રોશ અને એક્તા છે, પણ આતંક સામે કાશ્મીરમાં જે વિરોધ, આક્રોશ જોવા મળ્યો તે અભૂતપૂર્વ અને `સ્વયંભૂ' છે. જામા મસ્જિદમાં મીરવાઇઝે લોકોને સંબોધ્યા પછી લોકોએ બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી તે પણ હમદર્દી અને આતંક સામે તીવ્ર વિરોધનું પ્રદર્શન હતું. મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાહે - કાશ્મીરીઓની - લોકલાગણી અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, આ આતંકના અંતનો આરંભ છે. કાશ્મીરી આમજનતાએ જે વિરોધ દર્શાવ્યો છે તેનો આધાર લોકો આપમેળે બહાર આવ્યા તે છે. `લોકો આપણી સાથે છે અને સાથે રહેશે - આ દિશામાં શરૂઆત થઈ છે.' આ શબ્દો અને સંદેશ ભારત અને ભારતીય સેના માટે પણ છે. શત્રો - બંદૂકથી આતંકને અંકુશમાં - નિયંત્રણમાં લઈ શકાય, પણ આતંકને ખતમ કરવા માટે લોકોનો સહકાર જોઈએ જે આજે મળી રહ્યો છે એમ પણ ઓમર અબદુલ્લાહે કહ્યું છે. એમની વાત યોગ્ય, સાચી છે, પણ લોકોનો વિરોધ સ્મશાન વૈરાગ્ય જેવો નહીં હોવો જોઈએ. આતંકના અંત માટે હવે આતંકવાદીઓ - ઘરના હોય કે બહારના - એમને પનાહ નહીં અપાય - તેની ખાતરી કરાવવી જોઈએ. પહેલગામના હત્યારાઓને પકડવા માટે પણ લોકોની મદદ - સહકાર મળવો જોઈએ. પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાહ પણ હવે કહે છે કે, અત્યાર સુધી હું પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવાનો આગ્રહી હતો, પણ હવે લાગે છે કે, મારી ભૂલ હતી. પાકિસ્તાન સાથે સંવાદનો કોઈ અર્થ જ નથી. કાશ્મીરીયત ઉપર હુમલો કર્યો છે તે સાંખી નહીં લેવાય. ભૂલાશે પણ નહીં. અબદુલ્લાહ પરિવાર ઉપરાંત કાશ્મીરના અન્ય વિપક્ષી નેતાઓ પણ પાકિસ્તાન ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે, અલબત્ત, તેઓ લોકલાગણીનો મિજાજ જોઈને પડઘા પાડી રહ્યા છે. તેથી કાશ્મીરનું હવામાન બદલાઈ રહ્યું હોય એમ જણાય છે. અગાઉ બેકારીનાં કારણે યુવાનો આતંકવાદીઓની ફોજમાં ભરતી થતા હતા. હવે પર્યટન ઉદ્યોગ પૂરબહારમાં ખિલ્યો ત્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીરની શાંતિ અને સમૃદ્ધિ ઉપર હુમલો કર્યો છે અને હિન્દુઓને નિશાન બનાવ્યા છે. પર્યટકોને ડરાવવાનું કાવતરું હોવાનું સ્પષ્ટ છે. મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું છે કે, આ ઘટના પછી અત્યારે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માગણી કયા મોઢે થાય? એમની વાતમાં તથ્ય છે. આમ પણ આતંક ખતમ કરવાની સંપૂર્ણ જવાબદારી રાજ્યના માથે આવે અને હાલના તબક્કે કેન્દ્ર સરકાર પણ આવું જોખમ ખેડે નહીં. લડાઈ તોળાઈ રહી છે અને કાશ્મીર કેન્દ્રમાં છે તેથી સંપૂર્ણ રાજ્યનો પ્રશ્ન અને શક્યતા અત્યારે નથી. કાશ્મીરનો મુખ્ય ઉદ્યોગ - આવકનું સાધન પર્યટન છે. આતંકવાદીઓના હુમલાને કારણે સ્વદેશી અને વિદેશી પર્યટકો આવતા બંધ થઈ ગયા હતા, પણ મોદી સરકારે વિકાસનાં પગલાં લીધાં. ચૂંટણી મુક્ત રીતે થઈ અને લોકતંત્રની ખાતરી લોકોને થઈ. અમન અને આબાદીની શરૂઆત થઈ, સલામતીનાં પરિણામે પર્યટકો આવવા લાગ્યા. કાશ્મીરમાં ટૂરિસ્ટોની સંખ્યા સાત લાખથી વધીને 35 લાખ થઈ છે, ત્યારે આતંકવાદીઓએ પર્યટકોને ગોળીઓ મારી અને કાશ્મીરીઓના પેટ ઉપર લાત મારી છે. આ વાત આમઆદમી પણ સમજે છે. કાશ્મીરનાં નામે આતંકી હુમલા કરનારા કાશ્મીરના દુશ્મન છે એવી ખાતરી થઈ છે. મુખ્ય પ્રધાને માર્યા ગયેલા 26માંના પચ્ચીસ લોકોનાં નામ સાથે એમનાં રાજ્યનાં નામ આપીને લોકોને જણાવ્યું છે કે, ભારતના ખૂણેખૂણેથી જે લોકો આવ્યા હતા તે આપણા જ આમંત્રણથી આવ્યા હતા. ભારતવાસી હતા - એમ કહીને એકતાની ભાવના ઉપર મુખ્ય પ્રધાને ભાર મૂક્યો છે. દેશભરમાં ઠેરઠેર વસેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ હોય કે વેપારી હોય - એમની સલામતી જાળવવાની ચિંતા પણ એમણે વ્યક્ત કરી છે. વિધાનસભાનું એકદિવસીય વિશેષ સત્ર - સમયસર બોલાવાયું તેની અસર સમસ્ત દેશમાં પડી જ હશે. કાશ્મીરમાં પર્યટકોની વણઝાર શરૂ થતાં વાર લાગશે, પણ અન્ય રાજ્યોમાં કાશ્મીર પ્રત્યે રોષ - ઘૃણા જાગવી નહીં જોઈએ. આતંકીઓને ખતમ કરીને કાશ્મીરીઓને `જીતી' લેવાનો આ સમય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd