આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 29 : કાશ્મીરના
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે વિરોધી પક્ષો સરકાર પર સંસદનું વિશેષ સત્ર
બોલાવવા માટે દબાણ લાવી રહી છે. કોંગ્રેસે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર
લખ્યો છે. તમામ રાજકીય પક્ષોના લોક પ્રતિનિધિઓ આ અમાનવીય આતંકવાદી હુમલાને વખોડવા તથા
એકતા અને આતંકવાદ સામે લડવાના દૃઢ નિર્ધારને પ્રદર્શિત કરવા માગતા હોવાથી તેઓ આ વિશેષ
સત્રની માગ કરી રહ્યા છે. જો કે, શક્યતા
એવી છે કે, મોટા ભાગે તો સરકાર વિરોધી પક્ષના દબાણ હેઠળ નહીં
આવે. કેમ કે, આ વિશેષ સત્રમાં વિરોધી પક્ષો સુરક્ષા તથા ગુપ્તચર
તંત્રમાંની ખામીઓના મુદ્દે હોબાળો મચાવે એવી પૂરી શક્યતા છે. ગયા ગુરુવારે સંરક્ષણ
પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં રાહુલ ગાંધી,
મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય
સહિતના નેતાઓએ સરકાર સામે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, આ હુમલાએ
દેખાડી આપ્યું છે કે, સલામતી અને ગુપ્તચર તંત્રમાં અનેક ખામીઓ
છે. ગત રવિવારે રાષ્ટ્રવાદી પક્ષના (શરદચંદ્ર પવાર) વડા શરદ પવારે મહારાષ્ટ્રમાં કહ્યું
હતું કે, સર્વપક્ષીય બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
તથા ગૃહપ્રધાન અમિત શાહે પાકટતા દાખવતાં પહેલગામમાં હાલના આતંકવાદી હુમલા પહેલાં રહી
ગયેલી સલામતી સંબંધી ખામીઓની નિખાલસ કબૂલાત કરી હતી, કેમ કે,
ટૂરિસ્ટોને જ્યાં હુમલો થયો એ બૈસરન લઈ જવાઈ રહ્યા છે, એ વિશે સ્થાનિક પ્રશાસનને જાણ નહોતી. વિરોધી પક્ષોએ દાવો કર્યો છે કે,
ગૃહપ્રધાન અમિત શાહે આ બેઠકમાં કહ્યું હતું કે, હુમલો થયો એ દિવસે બૈસરનમાં સલામતી દળોની હાજરી નહોતી, પણ પહેલગામમાં તેઓ તહેનાત હતા, આથી ઘટનાસ્થળે ચઢાણ ચડી
પહોંચતા તેમને 45 મિનિટ જેટલો
સમય લાગ્યો હતો. આરજેડી અને સીપીઆઈએ સંસદના વિશેષ સત્ર યોજવાની વિનંતી કર્યા પછી લોકસભાના
વિરોધી પક્ષ નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભાના તેમના સમકક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ વિનંતી દોહરાવી હતી. આ પત્રમાં રાહુલ ગાંધીએ
લખ્યું છે કે, વિરોધી પક્ષનું માનવું
છે કે, સંસદનાં બંને ગૃહોનાં વિશેષ સત્રો બોલાવવા જોઈએ,
જેમાં લોક પ્રતિનિધિઓ તેમની એકતા અને પ્રતિબદ્ધતા દર્શાવી શકે. પહેલગામમાંના
આતંકવાદી હુમલાથી દેશનો દરેક નાગરિક ક્ષુબ્ધ છે. આ મહત્ત્વના સમયે, ભારતે દેખાડવું જોઈએ કે, આતંકવાદ સામે આપણે હંમેશાં એકજૂટ
છીએ, તો ખડગેએ પત્રમાં લખ્યું છે કે, ગત
બાવીસમી એપ્રિલે પહેલગામમાં દેશના નિર્દોષ નાગરિકો પર થયેલા અમાનવીય હુમલાનો જવાબ આપવાની
આપણી સહિયારી ઇચ્છાશક્તિ અને નિર્ધારનું આ વિશેષ સત્ર શક્તિશાળી પ્રદર્શન હશે. આ ક્ષણે
એકતા અને નિર્ધારની જરૂર છે, ત્યારે વિરોધી પક્ષોનું માનવું છે
કે, સંસદનાં બંને ગૃહોનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. આ પહેલા
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ (સીપીઆઈ) આવી જ માગણી
કરતા પત્રો લખ્યા હતા. આરજેડીના રાજ્યસભા સભ્ય મનોજકુમાર ઝાએ વડા પ્રધાનને પત્ર લખ્યો
હતો, તો સીપીઆઈના રાજ્યસભા સભ્ય પી. સંદોશ કુમારે સંસદીય બાબતોના
પ્રધાન કિરણ રિજિજુને પત્ર લખી આ માગણી કરી હતી.