ગાંધીધામ, તા. 27 : આદિપુર-ગાંધીધામમાં વિવિધ વિસ્તારોમાં
ચાલતાં વિકાસકામોનું મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને
કામ ઝડપથી પૂરું કરવા માટેની તાકીદ કરવામાં આવી હતી. મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યૂટી મેયર નવીન જરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ, દંડક સુરેશ ધૂઆ
દ્વારા કોન્ટ્રાક્ટર, પીએમસી, ટીપીઆઈ અને
મહાપાલિકાના ઈજનેરોને સાથે રાખીને વિવિધ કામોનું નિરીક્ષણ કરાયું હતું. ગાંધીધામમાં
વેજીટેબલ માર્કેટના ચાલતાં કામ અંગે આજુબાજુના લોકોના અભિપ્રયાય લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ગાયત્રી મંદિર રોડ ઉપર ચાલતાં કામમાં વપરાતા ડામરની પણ આજે ચકાસણી કરવામાં
આવી હતી. આદિપુરના રામબાગ રોડના ચાલતાં કામમાં એજન્સીને વધારાની ટીમો રાખીને સમય મર્યાદામાં
કામ પૂરું કરવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાલતા વિવિધ કામોની ગુણવત્તા જાળવવા
અને સમય મર્યાદામાં તમામ કામો પૂરાં કરવા સૂચના આપવામાં આવી હતી તેમજ એન્જિનીયર વિભાગને
સમયાંતરે કામોની સમીક્ષા કરવા અને સ્થળ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી.