નવી દિલ્હી, તા. 27 : છેલ્લા બે
દાયકામાં બાળકો અને વયસ્કોમાં મેદસ્વીતાની સમસ્યા પાંચ ગણી વધી ગઈ છે. વર્ષ 2000થી 2022 વચ્ચે શાળા જતાં બાળકો અને
કિશોરોમાં મેદસ્વીતાનો દર 2 ટકાથી વધીને
10 ટકા થયો છે. આ મુદ્દે ચિંતા
સાથે દાખલ થયેલી જનહિત અરજી ઉપર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે, લોકોનાં સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડી થઈ ન શકે.
કેન્દ્ર સરકારે પેકેજ્ડ જંક ફૂડનાં પેકેટ ઉપર આગળની બાજુએ જ ચેતવણીનું લેબલ લગાડવાનાં
આદેશને લાગુ કરવાનો થશે. આનાં માટે કોર્ટે કેન્દ્ર સરકારને બે સપ્તાહનું અલ્ટીમેટમ
પણ આપ્યું છે. અદાલતે કહ્યું હતું કે, જો કેન્દ્ર સ્વયં આને લાગુ
કરે તો સારી વાત છે નહીંતર અદાલત દ્વારા આગળનાં નિર્દેશ જારી કરવામાં આવશે. કોર્ટને
કેન્દ્ર સરકારની એવી દલીલ મંજૂર નથી કે આંતરરાષ્ટ્રીય માપદંડ, વિશેષ કરીને વિકસિત દેશોનાં માપદંડોને અનુરૂપ થવું સંભવ નથી. અદાલતે કહ્યું
હતું કે, આવા તર્ક અનુસાર તો શું ભારતે એક અવિકસિત દેશ જ બની
રહેવું પડશે? જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કહ્યું હતું કે,
આ પ્રશ્ન અમે કેન્દ્રનાં વિચારાર્થે રાખીએ છીએ. જસ્ટિસ પારડીવાલા અને
જસ્ટિસ વિનોદ ચંદ્રનની પીઠે પોતાનાં આદેશમાં ખાદ્યસુરક્ષાનાં મુદ્દાને અનુચ્છેદ 21 હેઠળ બાંયધરીકૃત જીવનનાં અધિકાર
સાથે જોડયો છે. આ આદેશ એક સ્વૈચ્છિક સંગઠન થી-એસ એન્ડ અવર હેલ્થ સોસાયટી દ્વારા દાખલ
જનહિત અરજીનાં જવાબમાં આવ્યો છે. તેની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં નિર્દેશોને અનેક વર્ષ વીતી
જવા છતાં સરકાર આ દિશામાં કંઈ કર્યુ નથી અને બીજીબાજુ જંક ફૂડનાં કારણે લોકોનું સ્વાસ્થ્ય
બગડી રહ્યું છે.