ભુજ, તા. 20 : કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કચ્છ
કમલમ્ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય
પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત એક ખાસ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ઝોનના પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ
વિજયભાઈ પંડયાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. આગામી દિવસોમાં દરેક મંડલમાં
એક 24 કલાકના અભ્યાસ વર્ગનું આયોજન
કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે વૈચારિક
અધિષ્ઠાન, ઇતિહાસ અને વિકાસ, કાર્ય વિસ્તારની
દૃષ્ટિ, કાર્યપદ્ધતિ, સરકારની સિદ્ધિઓ અને
અમલીકરણ, સોશિયલ મીડિયા, એઆઈ, નમો એપ, સરલ એપ તેમજ બૂથ મેનેજમેન્ટ, મન કી બાત - ટિફિન બેઠક જેવા વિષયોને આવરી લેવામાં આવશે. આ વિષયો પર વિસ્તૃતમાં
માર્ગદર્શન આપવા માટે જિલ્લાભરમાંથી 21 જેટલા નિષ્ણાત વક્તા દ્વારા દરેક મંડલમાં જઈને ઉપર મુજબના અલગ-અલગ
સાત વિષય પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવશે. પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ વિજયભાઈ
પંડયાએ ખાસ ઉપસ્થિત રહીને આજની કાર્યશાળામાં માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આજે સાર્વત્રિક ધોરણે ભાજપની લહેર વર્તાઈ રહી
છે તે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા જનહિતમાં જારી કરાયેલ અગણિત જનકલ્યાણકરી
યોજનાઓની લોકમાનસમાં સ્વીકૃતિનું પ્રતાબિંબ છે. જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ
ચૌધરીએ જણાવ્યું હતું કે, એક નિષ્ઠાવાન જનસેવકને છાજે એવી રીતે
પાર્ટીના અંત્યોદયના સિદ્ધાંતને અનુસરીને, પારદર્શક છબી સાથે
પક્ષની ઊજળી પરંપરા આગળ ધપાવવામાં અવિરત, અવિરામ પ્રવૃત્ત રહેવાની
આપણા સૌની સહિયારી ફરજ છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે,
વડાપ્રધાન શ્રી મોદીના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રવાદી
નેતૃત્વની સુખદ અસરો થકી આજે દેશવાસીઓએ સાર્વત્રિક ધોરણે વિકાસ મોડેલને વધાવ્યું છે,
અપનાવ્યું છે અને આ રાષ્ટ્રની આન, બાન અને શાનમાં
વૃદ્ધિ આણવા વિકાસની રફતારને વેગ આપવા સૌ કટિબદ્ધ બન્યા છે. આ કાર્યશાળામાં રાજ્યમંત્રી
ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ,
ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી,
જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ
જોધાણી, પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારી, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી,
પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી સહિત જિલ્લા તેમજ મંડલના
હોદ્દેદારો, મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાના હોદ્દેદારો,
જિલ્લા પંચાયતના હોદ્દેદારો તથા સદસ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો
જોડાયા હતા. કાર્યશાળાનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી હિતેષભાઇ ખંડોરે, સ્વાગત પ્રવચન પ્રશિક્ષણ વર્ગ અભિયાનના જિલ્લા સંયોજક વિકાસભાઈ રાજગોરે,
જ્યારે આભારવિધિ સહસંયોજક પારુલબેન કારા અને આણદાભાઈ આહીરે કર્યા હોવાનું
કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તેમજ સહઇન્ચાર્જ ચેતનભાઈ કતિરાની
સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.