ભુજ, તા. 24 : અહીંની આરટીઓ રીલોકેશન સાઈટ રાજગોર સમાજવાડી નજીક
યોગેશ્વર ધામ સોસાયટી ખાતે લાખોના ખર્ચે નવનિર્માણ પામતા શિવાલયના
બાંધકામમાં સોસાયટીના ખોજા મુસ્લીમોએ પણ ફુલ નહીં તો ફુલની પાંખડીનું દાન આપ્યું
છે. તો મંદિરના શિખરનો ખર્ચ રબારી સમાજના દાતાએ ઉપાડી લીધો છે. આરટીઓ નજીક રાજગોર સમાજવાડી પાસે આવેલા
પંચરંગી વસ્તીવાળા યોગેશ્વર ધામ સોસાયટી ખાતે નવનિર્માણ પામતા પ્રખ્યાત ભારતીય વાસ્તુકલા
પ્રસાત સોમપુરાની દેખરેખ હેઠળ કલાત્મક પથ્થરો-સિમેન્ટથી યોગેશ્વર મહાદેવનું શિવાલય
વિશાળ પ્લોટ પર બંધાઈ રહ્યું છે. આ સોસાયટીમાં રહેતા શિવભકતોએ લાખોના ખર્ચે શિવમંદિર
બાંધકામ માટે દાન આપ્યા છે. પણ ખુશીની વાત એ છે કે અહીં રહેતા ખોજા મુસ્લિમ સમાજે પણ
ફુલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મંદિર બાંધકામ માટે દાન આપ્યું છે. તો આ મંદિરના શિખરનો
ખર્ચ સણોસરા (ભુજ)ના જાણીતા દાતા શંભુભાઈ જગમાલ રબારીએ ઉપાડી લીધો છે તેમ સોસાયટી તેમજ
બાંધકામ સમિતિના અગ્રણીઓ હરીશભાઈ ભાટીયા, સુરેશ મારવાડા, સુધીરભાઈ ઠક્કર, અનિલભાઈ તેમજ
વિનોદભાઈ ચૌહાણે જણાવ્યું હતું. મંદિર બાંધકામ સોમપુરા શૈલીમાં ભુજના પ્રસાતભાઈ સોમપુરા (ઈન્જીનીયર) કોઈ અપેક્ષા
વગર ભાવથી માર્ગદર્શન આપી રહ્યા છે.