નવી દિલ્હી, તા. 16 : ભારતીય સેનાના પ્રમુખ જનરલ
ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. પાકિસ્તાને
એ નક્કી કરવું પડશે કે ભવિષ્યમાં ભૂગોળમાં રહેવા માગે છે કે માત્ર ઈતિહાસ બનીને રહી
જવા માગે છે. ઓપરેશન સિંદૂર જેવી પરિસ્થિતિ
ફરી સર્જાય તો ભારતીય સેનાની પ્રતિક્રિયા શું હશે, તેવું પૂછતાં જનરલ દ્વિવેદીએ પાકને
આ સીધો અને કડક સંદેશ આપ્યો હતો. સેનાવડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, આતંકવાદીઓને પોષવાનું
અને ભારત વિરુદ્ધ કારસા ઘડવાનું જારી રાખશે તો પાકને મુશ્કેલી પડી જશે. આ નિવેદન તેમણે એવા સમયે કર્યું છે, જ્યારે
ભારત દેશ અને સેનાએ ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ ઊજવી છે. દિલ્હીનાં માનેકશો સેન્ટરમાં
આયોજિત `સેના સંવાદ' કાર્યક્રમમાં જનરલ દ્વિવેદીએ
પાકને ચેતવણી આપી હતી. દરમ્યાન ચીને શનિવારે પહેલીવાર જાહેર કબૂલાત કરી હતી કે, તેણે
ઓપરેશન સિંદૂર વખતે પાકની મદદ કરી હતી. ચેંગદુ એરક્રાફ્ટ ડિઝાઈન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના
એન્જિનીયર ઝાંગ હેંગે માન્યું હતું કે, ચીને પાકને યાંત્રિક સહયોગ આપ્યો હતો.