નવી દિલ્હી, તા. 19 : વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે બીજીવાર કાશ્મીર પ્રવાસે પહોંચેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં જનસભાને સંબોધન
કર્યું હતું. મોદીએ કાશ્મીરી જનતાને કહ્યું હતું કે, જમ્મુ - કાશ્મીરને ફરી રાજ્યનો
દરજ્જો અપાવવાનું વચન ભાજપ જ પૂરું કરી શકશે. એટલે જ 25મી સપ્ટેમ્બરે મતદાનના તમામ
વિક્રમો તોડવાની મારી અપીલ છે. છ દિવસમાં બીજીવાર કાશ્મીર પહેંચેલા વડાપ્રધાને કહ્યું
હતું કે, નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસના ત્રણ પરિવારોએ દાયકાઓ સુધી કાશ્મીરમાં
પોતાની રાજનીતિની દુકાન ચલાવવા માટે નફરત વેચી હતી. આ ત્રણેય ખાનદાનોએ કાશ્મીરના યુવાનોને પ્રગતિ કરવા
જ ન દીધી. ચૂંટણીના પહેલા તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરી, કાશ્મીરના લોકોએ ઈતિહાસ
રચ્યો છે તેવું તેમણે કહ્યું હતું. મોદીએ વિપક્ષો
પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, કોઈ પણ
સંજોગોમાં ખુરશી પર કબ્જો પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનતા પક્ષોએ કાશ્મીરનું અહિત જ
કર્યું છે. જે યુવાનોને ત્રણ પરિવારોએ આગળ વધવા નથી દીધા એ હવે મેદાનમાં આવી ગયા છે.
કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, પીડીપીએ યુવાનોને શિક્ષણ જેવા અધિકારોથી વંચિત રાખ્યા છે.
મોદી બોલ્યા હતા કે, કાશ્મીરમાં શાળાઓને સળગાવાઈ આ આગને પણ ત્રણ પરિવારોએ પોતાની રાજનીતિની
દુકાનમાં વેચી હતી.