• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સિંધુ સંધિ : ભારતની પાકને નોટિસ

નવી દિલ્હી, તા. 18 : આર્થિક સંકટ સામે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને હવે પાણી માટે પણ તરસવું પડે તેવી શકયતા સર્જાઈ છે. વાત જાણે એમ છે કે, ભારતની સરકારે સિંધુ જળમાં બદલાવની માંગ સાથે પાડોશી પાકને નોટિસ મોકલી છે. વિશ્વબેંકની મધ્યસ્થીથી 19મી સપ્ટેમ્બર, 1960ના દિવસે થયેલી આ સંધિની કલમ 12(3) હેઠળ સુધારો કરવાની માંગ ભારતે કરી છે.  ભારતે પાકિસ્તાનને નોટિસ આપતાં કહ્યું હતું કે, સંધિ થઈ હતી ત્યાર પછી આજે પરિસ્થિતિઓ ઘણી બદલી ગઈ છે. વસ્તી વધી છે, પાણીનો ઉપયોગ પણ ઘણો વધ્યો છે. ખાસ કરીને સ્વચ્છ ઊર્જા ઉત્પાદન માટે જળસ્રોતોનો ઉપયોગ ભારતે વધારવો પડે તેમ છે. તો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યો પૂરાં કરવા માટે પણ જળ વિદ્યુત પરિયોજનાઓ જરૂરી છે તેવું ભારતે પાકને કહ્યું છે. ભારતીય અધિકારીઓનું માનવું છે કે, પાકિસ્તાને સિંધુ જળ સંધિની જોગવાઈઓનો ગેરલાભ લીધો છે. આતંકવાદે પણ સંધિના સુચારુ સંચાલનમાં બાધા નાખી છે. એ સિવાય વિશ્વબેંકે વિવાદ સમાધાન માટે તટસ્થ તજજ્ઞ તેમજ કોર્ટ ઓફ આબ્રિટ્રેશન બન્ને પ્રક્રિયા એકસાથે સક્રિય કરી છે જે ભારતના મત મુજબ યોગ્ય નથી. કાશ્મીર તેમજ પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો પણ ખેતીમાં પાણીની સમસ્યા માટે સંધિની સમીક્ષાની માંગ કરી રહ્યા છે ત્યારે આ નોટિસ મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક મનાઈ રહી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang