ગાંધીધામ, તા. 6: મેઘપર બોરીચી માં દુકાનદારના મકાનને તસ્કરોએ
નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના તેમજ
રોકડ સહિતની માલમત્તાની ચોરી કરી ગયા હતા પોલીસના સત્તાવાર સાધનોમાંથી મળતી વિગતો
મુજબ મેઘપર બોરીચીના સહજાનંદ ના મકાન નંબર 195 માં રહેતા અને જીવિકા
એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા બીપીનભાઈ કાનજીભાઈ
મહેશ્વરીના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત તા.25/6 ના
રાત્રિના 11:00 વાગ્યાના
અરસામાં પરિવાર તેમ જ તેમના સાળા સાથે નાગલપર તેમના મામીને ઘરે ગયા હતા. પાછળથી તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તેમજ
અંદરના દરવાજાનો લોક તોડીને તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા 25,000, તથા
સોનાની કાનમાં પહેરવાની દાણાની એક જોડી, ગળામાં
પહેરવાનું એક તોલાનું ચેન, ચાંદીના એક જોડી પાયલ, સહિત કુલ રૂપિયા 1,54,500 ની માલમતા ચોરી કરીને લઈ ગયા હતા. મકાન
માલિક તા.26/6 ના
રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઘરે પરત ફરતા આ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો
હતો. તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે અંજાર પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો
નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.