ભચાઉ, તા. 17 : નગરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે આવેલી ખેમાબાબા
હોટેલની પછવાડે ભંગારના વાડામાં આગથી ભારે દોડધામ થઇ પડી હતી. જો કે, બનાવમાં કોઇ જાનહાનિ
થઇ?નહોતી. આજે બપોરે આગનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આગના ધુમાડા પાંચેક કિ.મી. સુધી
દેખાતા હતા, જેના કારણે લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો. નજીકના રહેણાક
વિસ્તાર તથા ઔદ્યોગિક એકમોમાં સાવચેતી વર્તાઇ હતી. ભંગારમાં લાગેલી આગ વિકરાળ બની હતી.
ભચાઉ - ગાંધીધામ નગરપાલિકાના અગ્નિશમન દળોએ પાણીનો મારો ચલાવતાં ત્રણેક કલાક બાદ આ
આગ કાબૂમાં આવી હતી. ભચાઉની આસપાસ ધોરીમાર્ગ નજીક આવેલા આવા પ્રકારના ભંગારના અમુક
વાડા ઉપદ્રવ કરતા હોય છે. અમુક વાડાઓમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોવાના પણ આક્ષેપ
છે. સદ્ભાગ્યે પવનની ગતિ ધીમી હોવાથી અહીંથી પસાર થનારા વાહનોને કોઇ અસર પહોંચી નહોતી.