• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

આડેસર નજીક ટ્રેઇલરના ઠાંઠામાં પાછળથી ટેન્કર ભટકાતાં બેનાં મોત

ગાંધીધામ, તા. 17 : રાપર તાલુકાના આડેસરથી રાધનપુર બાજુ જતા માર્ગ ઉપર કરણી કૃપા હોટેલ નજીક આગળ જતાં ટ્રેઇલરમાં પાછળથી ટેન્કર ધડાકાભેર ભટકાતાં ટેન્કરમાં સવાર ભુરેખાન અલારખાખાન કલર (સિંધી મુસ્લિમ) તથા સાલમખાન બરકતખાન મેણુ (મુસ્લિમ) નામના યુવાનોનાં મોત થયાં હતાં જ્યારે અન્ય એકને ઇજાઓ પહોંચી હતી. રાજસ્થાનમાં રહેનાર ફરિયાદી શંકરલાલ પ્રહલાદરામ જાટ (ચૌધરી) નામનો યુવાન પોતાનું ટ્રેઇલર નંબર આર.જે.-04-જી.બી.-5155વાળું લઇને મોરબી આવ્યો હતો. અહીંથી તેણે ટાઇલ્સ ભરી હતી અને માળિયા, સામખિયાળી થઇને તે હરિયાણાના હિસ્સાર બાજુ જવા નીકળ્યો હતો. આડેસર-રાધનપુર માર્ગ ઉપર તે કરણી કૃપા હોટેલની સામેના ભાગે પહોંચ્યો હતો ત્યારે ટ્રાફિક હોવાનાં કારણે અન્ય વાહન ધીમા જઇ રહ્યાં હતાં જેથી આ ફરિયાદી પણ પોતાનું વાહન ધીમું ચલાવી રહ્યો હતો તેવામાં પાછળથી જોરથી બીજી ગાડી ભટકાતાં આ ફરિયાદીનાં વાહનનો કાચ તૂટી ગયો હતો અને તે ઉછળીને આગળના વાહન ઉપર પડયો હતો જેમાં તેને ઇજાઓ પહોંચી હતી.આ યુવાન પોતાનાં વાહન પાછળ જોવા જતાં ટેન્કર નંબર જી.જે.-39-ટી.એ.-8774વાળું ભટકાયેલી હાલતમાં પડયું હતું. આ વાહનની કેબિનનો બુકડો બોલી ગયો હતો જેમાં તેના ચાલક, ક્લીનર ફસાઇ જતાં બંનેના ત્યાં જ મોત થયાં હતાં. ટોલપ્લાઝાની ક્રેન તથા અન્ય લોકો  દ્વારા ટેન્કરના ચાલક ભુરેખાન તથા સાલમખાનની લાશને બહાર કાઢવામાં આવી હતી. બનાવને પગલે ટ્રાફિક સર્જાતાં પોલીસે ટ્રાફિક વ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો. ઘવાયેલા ફરિયાદીને સારવાર અર્થે લઇ જવાયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang