નેત્રા (તા. નખત્રાણા), તા. 17 : નેત્રા ખાતે વરસોથી વસાટ કરતા રતિલાલ વેલજી સુથારને જમીન દબાણ માફિયાના ત્રાસથી હિજરત
કરવાનો વારો આવ્યો છે અને વારંવાર પ્રશાસનમાં
રજૂઆતો કર્યા પછીય કોઇ નિવેડો ન આવતાં નારાજગી વ્યક્ત
કરી હતી. 81 વર્ષીય વયોવૃદ્ધે સ્થાનિક મામલતદાર
કચેરીથી લઇ સ્વાગત કાર્યક્રમ સુધી રજૂઆતો કરી થાક્યા પણ દબાણકર્તાઓ સામે કોઇ પગલાં
ન ભરાતાં અને પોતાને ત્રાસ મળતાં નલિયા જવું પડયું હોવાનું કહ્યું હતું. ગામના સરપંચ
દ્વારા દબાણ કરી ત્રણ લાખમાં પ્લોટ અને ડેલો વેચી નાખવાનો નામોલ્લેખ સહિત આક્ષેપ કર્યો
છે. સર્વે નં. 394 ટાવર્સ પૈકીમાં 60 મકાન દબાણમાં છે. સરપંચના ઇશારે પોતાની જમીનમાં
પણ દબાણ કરાયું છે જેમાં દબાણકર્તાએ કબજો કર્યો છે. આ બાબતે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ
ઉચ્ચકક્ષાએ રજૂઆત કર્યા પછી પણ કોઇ પગલાં ન ભરાતાં
કોર્ટના શરણે જવાની ચીમકી આપી હતી. ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર સામે તપાસ કરવા પણ પત્રમાં
માંગ કરાઇ છે. દબાણ કરી બોગસ વેચાણ કરતા
દબાણકર્તા સામે તાત્કાલિક પગલાં ભરવાં વિવિધ વિભાગોમાં પણ શ્રી સુથારે રજૂઆત કરી હતી.