• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભચાઉ પાસે જેક છટકતાં ચાલક પોતાની ટ્રક તળે ચગદાયો

ગાંધીધામ / ભુજ, તા. 28 : ભચાઉ નજીક ધનરાજ હોટેલ પાસે જેક છટકી જતાં પોતાની ટ્રક નીચે આવી જતાં અજય રાય (.. 40) નામના યુવાનનું મોત થયું હતું. બીજીબાજુ ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં કરણ કાનજી મહેશ્વરી (.. 25) નામના યુવાનનું કોઇ કારણોસર મોત થયું હતું જ્યારે લખપત તાલુકાના ઘડુલીના 90 વર્ષીય વૃદ્ધા હીરબાઇ જેઠાભાઇ સોલંકી સ્ટવ?(પ્રાઇમસ) પર જૂનો ઇલેક્ટ્રીક વાયર પડતાં શોટસર્કિટથી ગંભીર રીતે દાઝતાં મૃત્યુ પામ્યાં હતાં. બીજીતરફ મુંદરામાં મૂળ ધાવડાના 47 વર્ષીય યુવાન નરેન્દ્રસિંહ અજિતસિંહ પરમારે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. ભચાઉ નજીક હોટેલ ધનરાજનાં પાર્કિંગમાં ટ્રેઇલર ટ્રક નંબર જી.જે.-12-બી.વાય. -6510વાળું ઊભું હતું. ગઇકાલે સાંજે વાહનનો ચાલક અજય રાય જેક ચડાવી કામ કરી રહ્યો હતો, દરમ્યાન, અકસ્માતે જેક છટકી જતાં ટ્રક આગળ વધી હતી, તેવામાં યુવાન ટ્રકની નીચેના ભાગે અકસ્માતથી બચવા માટે ચીપકી ગયો હતો, પરંતુ ત્યાં ઢાળ વધુ હોવાથી ટ્રકએ ગતિ પકડી હતી અને પહેલાં ડિવાઇડરમાં ભટકાઇ તેના ઉપર ચડી જતાં ડિવાઇડરમાં યુવાન અથડાતાં તેને ઇજાઓ પહોંચી હતી. બાદમાં વાહન રેલિંગમાં ભટકાતાં તેમાં પણ ચાલકને ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા ચાલકને સારવાર અર્થે લઇ?જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજીબાજુ ગાંધીધામના ભારતનગર વાલ્મીકિ સોસાયટી ક્રિષ્ના મેડિકલ નજીક અપમૃત્યુનો બનાવ બન્યો હતો. વિસ્તારમાં રહેનાર કરણ મહેશ્વરી નામનો યુવાન અહીં એક દુકાનના ઓટલા પર હતો દરમ્યાન, કોઇ?કારણોસર તેનું મોત થયું હતું. યુવાનનું મોત કેવી રીતે થયું તે પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ બહાર આવી શકે તેમ હોવાનું તપાસકર્તા પી.એસ.આઇ. પી. સી. મોલિયાએ જણાવ્યું હતું. જ્યારે લખપત તાલુકાના ઘડુલી ગામે રહેતા 90 વર્ષીય વૃદ્ધા હીરબાઇ જેઠાભાઇ સોલંકી ગઇકાલે સાંજે ઘરે હતા ત્યારે સ્ટવ (પ્રાઇમસ) ઉપર લટકતા જૂના ઇલેક્ટ્રીકના વાયર સ્ટવ (પ્રાઇમસ) ઉપર પડતાં થયેલા શોર્ટસર્કિટના લીધે હીરબાઇ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. આથી હીરબાઇને દયાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રવાના કરાયા હતા, પરંતુ હીરબાઇ ભુજ પહોંચે તે પહેલાં રાતે રસ્તામાં મોટા યક્ષ પાસે દમ તોડી દીધો હતો. દયાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત મુંદરાના સુંદરમ પાર્કમાં રહેતા મૂળ મોટા ધાવડા (તા. નખત્રાણા)ના 47 વર્ષીય યુવાન નરેન્દ્રસિંહ અજિતસિંહ પરમાર સુંદરમ પાર્કમાંના પોતાના ઘરે ગઇકાલે બપોરે કોઇ અગમ્ય કારણોસર પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang