• શનિવાર, 11 મે, 2024

આસંબિયામાં બનેવીના વિયોગમાં તેની જેમ જ સાળાએ ફાંસો ખાધો

ભુજ, તા. 27 : માંડવી તાલુકાનાં મોટા આસંબિયાની સીમની વાડીમાં બનેવીના વિયોગમાં 17 વર્ષીય સાળા એવા સુલતાન સલીમભાઈ કુંભારે તેની જેમ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. જ્યારે માધાપરના ધોરીમાર્ગ પર ભુડિયા ફાર્મ હાઉસમાં કામ કરતા લાખોંદના 21 વર્ષીય યુવાન ધાર્મિક સામતભાઈ મ્યાત્રાએ ઝેરી દવા પી પોતાનો જીવ દીધો હતો. ગઈકાલે કોડાય પોલીસ મથકે, મોટા આસંબિયાના સલીમભાઈ મામદભાઈ કુંભારે નોંધાવેલી વિગતો મુજબ તા. 26/4ના સાંજે મોટા આસંબિયાની સીમમાં હુસેન આમદ કુંભારની વાડીમાં આવેલા મુરઘા ફાર્મમાં તેમના 17 વર્ષીય પુત્ર સુલતાને પતરાના એંગલ (આડી) સાથે રસ્સો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સુલતાનના સગા બનેવીએ આશરે દસેક દિવસ પહેલાં ગળેફાંસો ખાઈ જીવ દઈ દીધો હતા. બાબતનાં દુ:ખને લઈને તેણે અંતિમ પગલું ભરી લીધાનું પિતા સલીમભાઈએ જાહેર કર્યું છે. કોડાય પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. બીજી તરફ માધાપર ધોરીમાર્ગ પર આવેલા ભુડિયા ફાર્મ હાઉસ પર કામ કરતા લાખોંદના 21 વર્ષીય નવયુવાન ધાર્મિક સામતભાઈ મ્યાત્રાએ ગઈકાલે રાતે ફાર્મ હાઉસ પર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને પોતાનો જીવ દઈ દીધો હતો. ધાર્મિકના પિતા પણ ભુડિયા ફાર્મ હાઉસ પર કામ કરતા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મરવા પાછળનાં કારણો અંગે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang