• રવિવાર, 12 મે, 2024

દ્વારકા આવતા જહાજ પર હુતીનો મિસાઈલ હુમલો

નવી દિલ્હી, તા. 27 : ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થિત વાડીનાર આવી રહેલા એક વ્યાવસાયિક જહાજ પર રાતા સમુદ્રમાં હુતી વિદ્રોહીઓએ ત્રણ મિસાઇલથી હુમલો કર્યો છે. હુતીઓએ હુમલાની જાહેરાત સાથે એલાન કર્યું હતું કે, પેલેસ્ટાઇનનાં સમર્થનમાં તેમના આવા હુમલા ચાલુ રહેશે. હુમલાને લીધે એન્ડ્રોમેડા સ્ટાર તેલ ટેન્કરમાં સામાન્ય નુકસાન થયું હતું. હુતી ઉગ્રવાદીઓના હુમલા જારી રહેતાં ફરી ચિંતા ફેલાઈ છે. લાલ સાગરમાં હુતી આતંકીઓએ નિશાન બનાવેલું ટેન્કર ભારત તરફ આવી રહ્યંy હતું અને બ્રિટિશ એજન્સીના અહેવાલ મુજબ કિનારાના શહેર વાડીનાર જવાનું હતું. જહાજ પર બેલિસ્ટીક મિસાઇલો દાગવામાં આવી છે. જહાજને કેટલું નુકસાન થયું ? તેમાં સવાર ક્રૂ સહિત વધુ વિગત સામે આવી નથી. પહેલાં શુક્રવારે હુતીઓએ યમનના સાદા પ્રાંતમાં એક અમેરિકી એમક્યૂ-9 ડ્રોનને નિશાન બનાવ્યું હતું. યમન સમર્થિત હુતી વિદ્રોહીઓ લાંબા સમયથી માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે, જેની  સામે ભારત, અમેરિકા, બ્રિટન સહિત દેશોએ દરિયાઈ રૂટ પર સુરક્ષા વધારી છે. શનિવારે હુતી વિદ્રોહીઓએ જાહેર કર્યું કે, તેમણે લાલ સાગરમાં એન્ડ્રોમેડા સ્ટાર નામના ઓઇલ ટેન્કર પર મિસાઇલથી હુમલો કર્યો છે. જહાજ પર પનામાનો ઝંડો લાગેલો હતો અને તે બ્રિટિશ માલિકનું હોવાનું કહેવાય છે. સમુદ્રી સુરક્ષા બ્રિટિશ એજન્સી એમ્બ્રેએ જણાવ્યું કે જહાજના માલિકે પોતાનાં જહાજને હુમલામાં નુકસાન થયાની જાણ કરી છે. ટેન્કર કથિત રૂપે રશિયા સાથે જોડાયેલા ક્રૂડ વેપારમાં કાર્યરત છે. એમ્બ્રે અનુસાર તે પ્રિમોર્સ્ક, રશિયાથી વાડીનાર જઈ રહ્યંy હતું. ઇઝરાયલે પેલેસ્ટાઇન પર  હુમલો કર્યા બાદથી ઈરાન-યમન સમર્થિત હુતી વિદ્રોહીઓ લાલ સાગર, બાબ અલ-મંદબ જલડમરુ મધ્ય અને એડનની ખાડીમાં વ્યાપારિક જહાજોને વારંવાર નિશાન બનાવી રહ્યા છે. હુતીના ભયને પગલે અનેક દેશોએ પોતાના જહાજ દક્ષિણ આફ્રિકાના રૂટ પર વાળ્યા છે જે ઘણો લાંબો અને ખર્ચાળ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang