• શનિવાર, 27 જુલાઈ, 2024

મહારાષ્ટ્રનો અનામત પ્રશ્ન

મહારાષ્ટ્રમાં વિધાનમંડળે મરાઠા સમાજ માટે શિક્ષણ અને સરકારી-અર્ધસરકારી નોકરીઓમાં દસ ટકા અનામત આપવાનો ઠરાવ મંજૂર કર્યો છે. નોંધનીય ઘટનાક્રમ હોવા છતાં અનામત પ્રશ્નનો ઉકેલ આવ્યો છે? તે ઉત્તર મળતો નથી. મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગેએ હવે પછી આંદોલનની દિશા નક્કી કરવાનો નિર્ધાર કર્યો છે. વિધાનમંડળમાં જે ઠરાવને મંજૂરી મળી તે તેઓને માન્ય નથી. જરાંગેએ દસ ટકા ક્વોટાના નિર્ણયને ફગાવી દીધો છે અને ત્રીજી માર્ચથી રસ્તા રોકો આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. તેમણે નોટિફિકેશનના અમલ, મરાઠાઓને કુણબી જાહેર કરી ઓબીસી ક્વોટા હેઠળ અનામત આપવાની માંગ દોહરાવી છે. વિધાનમંડળે સર્વાનુમતે મંજૂર કરેલો મરાઠા અનામતનો પ્રસ્તાવ અમારી માગણી મુજબ નથી એમ તેઓ કહી રહ્યા છે. હાઈકોર્ટે મરાઠા સમાજ માટે સરકારે આપેલી અનામત ટકાવારી ઓછી કરીને શિક્ષણ માટે 12 અને નોકરીઓ માટે 13 ટકા કરી હતી. અનામત નવી દરખાસ્તમાં 10 ટકા છે. ઠરાવનું રાજ્યમાંના ઓબીસી આંદોલનકારીઓ એક તરફ સ્વાગત કરી રહ્યા છે, ત્યારે મરાઠા આંદોલનકારીઓ અલગ વર્ગીકરણ નકારીને અનામત ઓબીસી જૂથને મળે, એમ કહી રહ્યા છે. અનામતનો પ્રશ્ન ઉકેલાયો માની સમયાંતરે મહારાષ્ટ્રમાં ઉડાવવામાં આવતો ગુલાલનો રંગ કેટલો ફીકો છે તે આના પરથી જણાય છે. ઉપરાંત, વિધાનમંડળે આપેલું દસ ટકા અનામત સર્વોચ્ચ કોર્ટમાં ટકશે, એવી 100 ટકા ખાતરી કોઈને નથી. તેને લઈને ઠરાવ પસાર થયા પછી પણ જરાંગે પાટિલે `મરાઠા સમાજને નવી વ્યવસ્થાની અનામત નહીં આપતાં ઓબીસીમાં મૂકો' એવું ફરી જણાવ્યું છે. ટૂંકમાં, અનામત વિવાદનો કોયડો ઉકેલાયો નથી. આંદોલનકારીઓને સંતોષ નથી થયો. બીજીબાજુ, ઓબીસીની નારાજગી વધવાની છે એમ છગન ભુજબળનાં વક્તવ્યથી જણાય છે. સંપૂર્ણ વિષય ફરી કોર્ટમાં જશે પણ સ્પષ્ટ છે. મરાઠા સમાજને `પછાત' ઠેરવવાનો સરકારના અગાઉના પ્રયાસને સર્વોચ્ચ કોર્ટમાં સફળતા મળશે એની પણ ખાતરી નથી. સુપ્રીમ કોર્ટે અગાઉ દાખવેલી ખામી દૂર કરવામાં આવી છે એવો આત્મવિશ્વાસ મુખ્ય પ્રધાન અને રાજ્ય સરકારને હોવા છતાં આવતીકાલે આંદોલનકારીઓને વિશ્વાસ આપીને નવા આંદોલનથી વિમુખ કરવામાં સરકારને સફળતા મળશે? મહારાષ્ટ્રની રાજ્ય સરકારે મરાઠા અનામત માટે પસાર કરેલી દરખાસ્ત અર્થપૂર્ણ ઠેરવવી હશે તો નવા કાયદા પર સર્વોચ્ચ અદાલતની મંજૂરીનું મત્તું શક્ય એટલું જલ્દી મળવું જોઈએ.   ન્યાયાધીન  પ્રક્રિયા માટે પહેલ કરવાની જરૂર છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang