• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

આંતરિક પડકારો નાથવા સરકાર કટિબદ્ધ

ભુજ, તા. 19 : કચ્છ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા પંડિત દીનદયાલ ઉપાઘ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના ગુરુવારના દ્વિતીય દિવસે ત્રણ-ત્રણ પ્રદેશ મહામંત્રીઓ સહિત વિવિધ આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં અલગ-અલગ વિષયો અંતર્ગત કુલ સાત સત્રો યોજાયા હતા. આ અવસરે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રીઓ અનિરુદ્ધભાઈ દવે, પ્રશાંતભાઈ કોરાટ તેમજ હિતેન્દ્રાસિંહ ચૌહાણ સહિતના વકતાઓનું કચ્છ જિલ્લા ભાજપ અઘ્યક્ષ દેવજીભાઈ વરચંદે અભિવાદન પાઠવીને સ્વાગત કર્યુ હતું. ગુજરાતના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોદી સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજીનું ધ્યેય રાષ્ટ્રના અંત્યોદયથી રાષ્ટ્ર ઉદયનું નિર્માણ થાય તે હતું, જેથી એ જ નીતિ પર મોદી સરકારની તમામ યોજનાઓનો લાભ આજે છેવાડાની વ્યક્તિને મળી રહ્યો છે. ચોથા સત્રમાં વકતા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું હતું કે, આપણે સત્તા માટે નહી, પરંતુ સત્યમ, શિવમ, સુન્દરમ અને રાષ્ટ્રના ઉત્થાન માટે લડી રહયા છીએ. આપણા વિચારો અને આપણી પરંપરાઓનું પેઢી દર પેઢી વહન થતું રહે અને ઉત્તરોત્તર ક્ષમતાઓનું વર્ધન થતું રહે એ હેતુથી અભ્યાસ વર્ગ યોજવામાં આવે છે. પ્રદેશ મીડિયા વિભાગના ડો. હેમંતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે, જેના થકી જ આપણા કાર્યો, આપણી પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે છે. છઠ્ઠા સત્રમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, આપણી સામે આતંકવાદ, સરહદ પર અતિક્રમણ સહિતના અનેક આંતરિક પડકારો છે ત્યારે આવા તમામ પડકારોને ભરી પીવા અને તેમનું કાયમી નિરાકરણ કરવા માટે સરકાર સંપૂર્ણ સજ્જ અને સાવધાન છે. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રાસિંહ ચૌહાણે કાર્યકર અને બૂથ એ આપણી કાર્ય પદ્ધતિની મુખ્ય બે ધરી છે. આ ઉપરાંત ભાજપમાં અનુસાશન જ સર્વોપરી છે અને તેને જાળવી રાખવો આપણી પરંપરા છે તેમ જણાવ્યું હતું. જામનગરના પૂર્વ ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચાએ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ કેટલીય તકલીફો વેઠીને પાર્ટીનો મજબૂત સૈદ્ધાન્તિક પાયો નાખ્યો છે તેમ કહ્યું હતું, તો અમદાવાદ જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુક્લાએ  સંઘ વિચારધારા સાથે સંકળાયેલી સંસ્થાઓ અને સંગઠનો એ એક વિચાર પરિવાર છે અને આ વિચારને સમજવો મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. આજે પ્રશિક્ષણ વર્ગના વિવિધ સત્રોમાં સત્ર અધ્યક્ષ તરીકે કિરણભાઈ ગણાત્રા, ગોપાલભાઈ ગોરસિયા, સુરેશભાઈ ગુપ્તા, કિરણભાઈ આહીર, ભરતભાઈ દરજી, કાનજીભાઈ મહેશ્વરી તથા વિનોદભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હિતેશભાઈ ખંડોર, વિકાસભાઈ રાજગોર, પારૂલબેન કારા અને આણંદભાઈ આહીરે કર્યુ હતું. આજના પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિ. પં. પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રાસિંહ જાડેજા, વર્ગના વાલી ખુમાનાસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા રમેશભાઈ મહેશ્વરી સહિતના અપેક્ષિત શ્રેણીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આરએસએસ કચ્છ વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણી અને સહકાર્યવાહ દામજીભાઈ જાટિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોક બરાડિયા સહિત ભુજ શહેર અને તાલુકા ભાજપ સંગઠનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા વિભાગના સાત્ત્વિકદાન ગઢવી, ચેતનભાઈ કતીરા તેમજ દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd