નવી દિલ્હી, તા. 19 : કોંગ્રેસ
કાર્યકારી સમિતિની બેઠકમાં બુધવારે પક્ષે 1937ના પોતાના વલણને વળગી રહેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યક્રમોમાં વંદે માતરમ્નાં પ્રથમ
બે પદનું ગાયન કરાશે. આ બેઠકમાં કોંગ્રેસે રામ મંદિર ચડાવા ચોરીના વિરોધમાં દેશભરમાં
આંદોલન કરવાનું એલાન પણ કર્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે, અમારો ફેંસલો ઓકટોબર-1931માં રાષ્ટ્રીય પરિષદ દ્વારા પસાર થયેલા પ્રસ્તાવ પર આધારિત છે.
તે વખતે પક્ષે રાષ્ટ્રીય સભાઓમાં વંદે માતરમ્નાં માત્ર પહેલાં બે પદ ગાવાનો નિર્ણય
કર્યો હતો. બેઠક બાદ કોંગ્રેસ મહામંત્રી કે.સી. વેણુગોપાલે રામ મંદિર દાન ચોરી મુદ્દાને
છેવાડાના ગામડાઓ સુધી ઊઠાવવાનો નિર્દેશ પક્ષની સમિતિઓને અપાયો છે. પક્ષની કાર્યકારી
સમિતિની બેઠકમાં અરૂણાચલ પ્રદેશમાં ચીની ઘૂસણખોરી મુદ્દે ચર્ચા થઇ હતી. કોંગ્રેસે આ
મુદ્દાને પણ સરકાર વિરુદ્ધ રાજકીય અભિયાનનો હિસ્સો બનાવ્યો છે. વેણુગોપાલે વસતી ગણતરીના
પ્રશ્નોની યાદીમાં ઓબીસી કોલમ સામેલ ન હોવા બદલ પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. પક્ષના
88 નેતાઓની હાજરી વચ્ચે બેઠકમાં
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદીરાજ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, સરકારની ખોટી નીતિઓનાં કારણે આજે દેશનો યુવાન
હતાશ છે.