ભુજ, તા. 19 : આમ તો બાયો મેડિકલ કચરાના નિકાલ
માટે સરકારની માર્ગદર્શિકાનો સંપૂર્ણપણે અમલ
કરવાનો હોય છે, પરંતુ ભુજથી અંદાજે 15 કિલોમીટરના અંતરે આવેલા સેડાતા
ગામની સીમમાં કોઈ અજાણ્યા તત્ત્વો દ્વારા ખુલ્લા નદી પટ્ટમાં બાયો મેડિકલ કચરાનો નિકાલ
કરી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં અત્યંત ચોંકાવનારી અને ગંભીર
બેદરકારી સામે આવી છે. સેડાતા નજીક આવેલી શાળા પાસે અવાવરું અને ખુલ્લી જગ્યાએ મોટી
માત્રામાં દવાનો જથ્થો સળગાવવામાં આવ્યો હતો. તો આ સ્થળે ચરિયાણ અર્થે આવતાં પશુઓ અજાણતા
આ ઝેરી કચરાના સંપર્કમાં આવી શકે છે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટના માનવતા અને પર્યાવરણ વિરુદ્ધનું
એક ગંભીર કૃત્ય છે, આ બાબતે સંબંધિત તંત્રએ સત્વરે તપાસ કરી આ
કાર્ય પાછળ જવાબદાર વ્યક્તિઓ કે સંસ્થાઓને શોધી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી
કરવામાં આવે તેવી માંગ જાગૃતો દ્વારા કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
ડો. મિતેશ ભંડેરીનો સંપર્ક સાધતાં તેમણે સ્થળ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની
વાત કરી હતી.