• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

એકલ-બાંભણકા-ખડીરના તાલુકામથકનો પ્રથમ પાકો માર્ગ

રામજી મેરિયા દ્વારા : ચોબારી, તા. 17 :  ભચાઉ  તાલુકાના ખડીર બેટ તાલુકા મથકની લાંબા અરસા સુધી વંચીત રહેતાં આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે પછાતપણાનો સામનો કરતો આવ્યો છે. ચોમેર રણથી ઘેરાયેલા અને વરસાદ આધારિત બેટમાં મીઠા પાણીનો કોઈ સ્રોત પણ નથી કે તેને લઈને ખેડૂત, માલધારી સારી કમાણી કરી પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે, પરંતુ તાલુકા મથકથી ખડીરને નજીક લઈ આવતા અને કચ્છના બીજા સ્વર્ગસમા રસ્તા એવા એકલ-બાંભણકા માર્ગમાં વાહનોની અવરજવર શરૂ થતાં ખડીરવાસીઓમાં અંતરમાં હર્ષ પ્રસર્યો છે. - વાહનોની અવરજવર શરૂ  : કચ્છ જિલ્લા પંચાયત હસ્તકની માતબર રકમ સાથે ખર્ચાતા દેશના પ્રથમ એવા આ માર્ગ ઉપર હાલ મેટલ પાથરવાનું કામ  ચાલુ છે, તેના કારણે  રસ્તા ઉપર  વાહનોની અવરજવર  શરૂ થઈ છે. તાલુકા મથકથી જોડાયેલો આ  રસ્તો અનેક રીતે ફાયદાકારક હોવાનું ખડીરવાસીઓ જણાવી રહ્યા છે. જે-તે સમયે ખડીરમાં પશુઓના નિભાવ માટે ગયેલા  અને સમય જતા ત્યાં જ વસવાટ કર્યો રણમાંથી રસ્તો ન હોવાથી  અંતર વધ્યું અને આઝાદીના સાડા સાત દાયકા નીકળી  ગયા. હવે ખડીર તાલુકા મથકથી નજીક આવ્યું છે, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભારી છે, તેવો ઉદ્ગાર ખડીરવાસીઓનો છે. ખડીરને આરોગ્ય, શિક્ષણ    સામાજિક પ્રશ્નો સહિતની સમસ્યામાંથી છુટકારો મળશે, તેવું કેડીસીસીના ડાયરેક્ટર  નારણભાઈ આહીરે જણાવ્યું હતું. - ધોળાવીરા, ધોરડો સર્કલ બનશે : ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, આ માર્ગથી રાપર પણ નજીક થશે અને પ્રવાસનને વિશેષ ફાયદો થશે. રેલવે સ્ટેશન નજીક બનશે.   આ માર્ગ સાથે ઘડુલી-સાંતલપુર માર્ગ જોડાતાં અમદાવાદ, રાજકોટ જવા માટે પણ અંતર ઘટશે અને ધોળાવીરા, ધોરડોનું સર્કલ બની જશે તેવું કહી સરકાર પ્રત્યે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ માર્ગેથી પાણીની લાઈન નાખવામાં આવશે, જેથી ખડીર બેટ પાણીદાર બનશે તેવું તેમણે  ઉમેર્યું હતું. - હોટેલ ઉદ્યોગનો વિકાસ થશે : ગાંધીધામના ડો. દિનેશ હરાણીએ આ માર્ગને  મહત્ત્વનો ગણાવ્યો હતો. ગાંધીધામના બાળરોગ નિષ્ણાત ડો. રાજેશ માહેશ્વરીએ કહ્યું હતું કે, આરોગ્યની સાથે-સાથે અહીંના હોટેલ ઉદ્યોગનો પણ વિકાસ થશે. ધોળાવીરા પ્રવાસન  ગાંધીધામ, આદિપુર, અંજાર  કંડલાથી જોડાતાં પ્રવાસનને ફાયદો થશે.  રતનપરના  મોહન આહીરે કહ્યું હતું કે, શિક્ષણ  માટે આ માર્ગ મહત્ત્વનો બની રહેશે.  વધુ અભ્યાસ માટે ખડીર બહાર  અને ખડીરની અંદર પણ શિક્ષણ  માટે માર્ગ  મહત્ત્વનો સાબિત થશે. - ખડીરનો વિકાસ માર્ગ ખૂલશે : આ રસ્તા માટે વર્ષોથી કાર્યરત યોગી દેવનાથ બાપુએ  જણાવ્યું હતું કે, આ માગ થકી ખડીરના વિકાસનો માર્ગ ખૂલશે અને ખડીરવાસીઓનો સર્વાંગી વિકાસ થશે. અત્યાર સુધીમાં તમામ આગેવાનોએ આ રસ્તા  માટે રસ દાખવી સકારાત્મક અભિગમ અપનાવી મહેનત કરી તે કામે લાગી હોવાનું ઉમેર્યું હતું. આ રસ્તાને જોવા માટે  પ્રવાસીઓ પણ આવી રહ્યા છે.  રોડ ટુ હેવન કરતાં પણ આ  માર્ગ અલગ તરી આવે છે. - ચોમાસાં સુધી હનુમાન બેટ સુધી ડામરકામ પૂર્ણ થશે : ચોબારી, તા. 17 : ગત ચોમાસાંમાં વધુ વરસાદના કારણે  આ  માર્ગને મોટું નુકસાન થયું હતું. તેજ ગતિએ ચાલતાં કામના કારણે  આ રસ્તો ફરી એકલથી બાંભણકા તરફ  પૂર્વવત થયો છે. બાંધકામ વિભાગના અધિકારી  જયેશ ટાંકે કહ્યું હતું કે, આવતાં ચોમાસાં સુધીમાં હનુમાન બેટ સુધી ડામરકામ શરૂ કરી દેવામાં આવશે. ગતિશિલતાથી કામ ચાલુ હોવાથી બાંભણકા સુધી પણ કામ પૂરું થઈ જાય તેવી શક્યતા છે. - ખડીરવાસીઓઁ ગાંધીધામ સુધી સારવાર માટે પહોંચી શકશે : ચોબારી, તા. 17 : બાંભણકા  ગામના પૂર્વ સરપંચ  મનુ મહારાજે કહ્યું હતું કે, ખરા અર્થમાં  દેશના નાગરિક બન્યા હોવાનો અહેસાસ થાય છે. ખડીરની કોઈ ક્યાંય ગણતરી જ થતી ન હતી. હવે ગણતરીમાં લેવામાં આવ્યા. આરોગ્ય ક્ષેત્રે પણ ખડીરે વધુ પીડા સહન કરી છે. અંતર ઘટતાં ખડીરવાસીઓને ગાંધીધામ સારી આરોગ્ય સારવાર મેળવી શકાશે તેવું ઉમેર્યું હતું. 

Panchang

dd