ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 2 : સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ
કરતા નાના-નાના વિદ્યાર્થીઓને કુપોષણથી બચાવવા રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારની મદદથી
મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ સરકારી શાળાઓમાં પીરસાતાં ભોજનમાં આખરે `સરકારીકરણ' લાગુ પડયું હોવાથી મોટાભાગે ખારાભાત સિવાય માંડ
કોઇ નવી વેરાયટી અપાતી હોય છે, પરંતુ `કચ્છમિત્ર'માં પ્રગટ થયેલા હેવાલોના પગલે હવે રાજ્ય સ્તરે
મોટો બદલાવ આવ્યો છે. સામે વિદ્યાર્થીદીઠ દૈનિક ભોજન માટે મુકરર થયેલી રકમમાં પણ વધારો
કરાયો છે, તેની વચ્ચે છેવાડાના લખપત અને રાપર તાલુકામાં બપોરા
ભોજન માટે ખાનગી એજન્સીઓને જવાબદારી સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રાથમિક શાળાઓમાં
દરરોજ નવું-નવું ભોજન બને અને બાળકોને ગરમાગરમ જમવાનું મળે તેવી અત્યંત ઉદાર યોજના
અમલમાં મુકાઇ હતી, પરંતુ તળિયાં સુધી સંચાલનમાં અગાઉ અનેક ગેરરીતિઓ
બહાર આવી ચૂકી છે. 2024 પહેલાં તો
પ્રત્યેક બાળકદીઠ દૈનિક ભોજન ખર્ચ પારલે બિસ્કિટનાં એક પેકેટ કરતાં પણ ઓછું રૂા. 2.88 અને રૂા. 4.31નો ખર્ચ થતો હતો. બે રૂપિયા
અઠ્યાવીસ પૈસામાં કેવું ભેજન મળે એ સૌ કોઇ જાણી શકે છે, પરંતુ સરકારી ભાવ હોવાથી મોટાભાગે આ રકમમાંથી
ખારાભાત બનાવવામાં આવતા હતા. જો કે, અઠવાડિયાનું વાર પ્રમાણે
મેનુ રૂપકડું હતું. જિલ્લા મધ્યાહ્ન ભોજન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે પી.એમ.
પોષણ યોજના હેઠળ હવે સુધારણા કરવામાં આવી છે તેમાંય કચ્છના મધ્યાહ્ન ભોજન વિભાગનો હવાલો
પુરવઠાના નાયબ કલેકટર તરીકે અર્શ હાસમી પાસે હોવાથી તેઓ રસ લઇને સુધારણા કરે છે અને
દરેક શાળામાં સરકારે નિયત કરેલી વાનગીઓ બને છે કે નહીં તેના પર દેખરેખ રાખી રહ્યા છે.
મળેલી માહિતી પ્રમાણે અગાઉ પ્રગટ થયેલા હેવાલને પગલે રાજ્યસ્તરે પડઘો પડયો હતો અને
હવે વિદ્યાર્થીદીઠ મોટી રકમનો વધારો કરવામાં આવ્યો છે. બાલવાટિકા અને ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ પાછળ મધ્યાહ્ન ભોજન ખર્ચ રૂા. 8.11 કરવામાં આવે છે. એવી જ રીતે
ધોરણ 6થી 8ના છાત્રો માટે બપોરનું ભોજન રૂા. 11.62 સુધી ખર્ચ કરી પીરસવામાં આવે
છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં કુલ્લ 2.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાંથી દૈનિક દોઢથી પોણા બે
લાખ ભોજનનો લાભ લઇ રહ્યા છે તેવું મ.ભો.યો. શાખા પાસેથી જાણવા મળ્યું હતું. વિદ્યાર્થીઓને
લીલા શાકભાજી, કઠોળ, પ્રોટીન મળે એ પ્રકારે અઠવાડિક વાનગીઓ વાર પ્રમાણે બનાવવામાં આવી છે. કચ્છના
1722 મધ્યાહ્ન ભોજન કેન્દ્રો છે, જેમાંથી 1474 શાળાઓમાં છાત્રો માટે રોજ ભોજન
બનાવવા કિચન શેડ પણ બનાવવામાં આવ્યા છે. 2022 સુધી હજુ ત્રણ-ચાર રૂપિયાનું જ મેનુ બનતું હતું પરંતુ હવે રૂા. 8.11 અને રૂા. 11.62 કરવામાં આવ્યા
છે. ઉપરાંત સવારે દરેક છાત્રોને નાસ્તો પણ શરૂ કરવામાં આવ્યો છે. કઠોડ, ચણા, સુખડી સવારમાં અપાતી
હોવાથી આ વાનગી પાછળ વધારાનો રૂા. પાંચનો ખર્ચ ફાળવવામાં આવ્યો છે તેવી પણ વિગતો આપવામાં
આવી હતી. ભુજ તાલુકાના 195 મધ્યાહ્ન
ભોજન યોજનાનાં કેન્દ્ર છે જેની જવાબદારી દક્ષિણ ભારતની જાણીતી અક્ષયપાત્ર સંસ્થાને
સોંપવામાં આવી છે. અક્ષયપાત્ર પોતાનાં વાહનોથી ભુજ પાસેના વિશાળ રસોડામાં વાનગી બનાવી
37 હજાર વિદ્યાર્થીઓને સમયસર પીરસવામાં
આવે છે. મળેલી માહિતી પ્રમાણે હવે કચ્છના રાપર અને લખપત જેવા દૂરના વિસ્તારના તાલુકામાં
આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અક્ષયપાત્ર જેવી ખાનગી એજન્સીને જવાબદારી સોંપવાની
તૈયારીઓ ચાલે છે. રાપરના 36 હજાર, તો લખપતના 10 હજાર એમ કુલ્લ 45 હજાર વિદ્યાર્થીઓને સીધું ભોજન
મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન ચાલે છે. રાજ્યના 10 જિલ્લાના એવા તાલુકા છે જ્યાં
તાલુકાઓ માટે રસોડું બનાવી ત્યાંથી જ વાનગીઓ રવાના કરવામાં આવે એ માટે સ્વૈચ્છિક સંસ્થાઓને
કામ આપવાની વિચારણા ચાલે છે. ભુજ ઉપરાંત લખપત, રાપર જેવા તાલુકાઓની જવાબદારી ખાનગી સંસ્થાઓને સોંપાયા પછી ધીમે-ધીમે આખી વ્યવસ્થા
જ સંસ્થાઓને સોંપી દેવામાં આવશે. આખાય મધ્યાહ્ન ભોજન વિભાગનું કદ ઘટાડવા આ બપોરા ભોજનની
વ્યવસ્થા અક્ષયપાત્ર જેવી સંસ્થાઓને સોંપવા એટલે જ તો અગાઉથી જ મધ્યાહ્ન ભોજન નાયબ
કલેકટરની જગ્યા પણ રદ કરી દેવામાં આવી છે. રાપર-લખપત જેવા દૂરના વિસ્તારના નાના વિદ્યાર્થીઓ
માટે 200 મિ.લી. ફ્લેવર્ડ દૂધ આપી દૂધ
સંજીવની યોજના પણ શરૂ કરવામાં આવી છે.