ભુજ, તા. 7 : આગામી 22 જૂને કચ્છની 166 ગ્રામ પંચાયતની સામાન્ય અને
241 ગ્રામ પંચાયતની પેટાચૂંટણી
યોજાવાની છે, જેનાં ઉમેદવારી ફોર્મ ભરવાની
કામગીરી હાલ ચાલી રહી છે, ત્યારે આ ચૂંટણીજંગમાં લડવા ઈચ્છુક
ઉમેદવારો પાસેથી નિયમ વિરુદ્ધના આધારો માગી ખોટી રીતે હેરાન-પરેશાન કરાઈ રહ્યાના આક્ષેપ
સાથે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત
કરી છે. વી.કે. હુંબલની આગેવાનીમાં કરાયેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર ફોર્મ ભરતી વખતે
આવકનો દાખલો માગવામાં આવે છે. ચૂંટણીપંચની ગાઈડલાઈનમાં આવી કોઈ વિગત નથી. છતાં દાખલા
આપવાનો આગ્રહ રખાય છે. આધારકાર્ડ, રાશનકાર્ડની જરૂરત ન હોવાનું
હેન્ડબુકમાં દર્શાવાયું હોવા છતાં ઉમેદવારો પાસેથી આધાર, રાશન
અને ચૂંટણીકાર્ડની નકલ મગાય છે. શાળા છોડયાનું અને જન્મનું પ્રમાણપત્ર માગવામાં આવે
છે તે પણ નિયમ વિરુદ્ધ છે. 2006 પછીનું બાળક હોય તો જ ફોર્મ રદ થાય બાકી કેટલા બાળકો તેનું એકરારનામું
કરવાનું હોવા છતાં તમામ બાળકોના જન્મના દાખલા માગવામાં આવે છે. પોલીસ વેરિફિકેશન તથા
દાખલાનો આગ્રહ રખાય છે તે પણ પંચની માર્ગદર્શિકા વિરુદ્ધ છે, તેવું આ રજૂઆતમાં જણાવાયું છે. જિલ્લા કલેક્ટર
તાત્કાલિક અસરથી તમામ તાલુકા ચૂંટણી અધિકારીઓને સૂચના આપી નિયમ વિરુદ્ધના આધાર ન માગે
તેવો આદેશ કરે તેવું પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે. દરમ્યાન આ રજૂઆત અનુસંધાને
નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.પી. ચૌહાણે નામાંકન પ્રક્રિયા
દરમ્યાન ચૂંટણી અધિકારીઓને નિયમ વિરુદ્ધના
આધારો માગવામાં ન આવે તેની ચીવટ રાખવા સૂચના આપી હતી.