ગાંધીધામ, તા. 7 : મુંદરા તાલુકાનાં ધબ્રમાં આવેલા
જી.આઈ.ડી.સી.માં માળખાકીય સુવિધાના અભાવે ઉદ્યોગકારોને
વેઠવી પડતી હાલાકી મુદ્દે ગાંધીધામ ચેમ્બરે રાજ્ય સ્તરે રજૂઆત કરી હતી.રાજ્યના ઉદ્યોગમંત્રી
બળવંતસિંહ રાજપૂતને પાઠવાયેલા પત્રમાં ચેમ્બર પ્રમુખ મહેશ પુંજે જણાવ્યું હતું કે, આ જીઆઈડીસી નજીક અદાણી પોર્ટ વિકસિત છે. આ વિસ્તાર ઔદ્યોગિક દૃષ્ટિએ ખુબ જ વ્યૂહાત્મક
મહત્ત્વ ધરાવે છે, પરંતુ વરસાદના સમયમાં હંમેશા આ સ્થળે પાણીનો
ભરાવો થાય છે. રસ્તાની ખસ્તા હાલતના કારણે
ઉત્પાદન અને પરિવહન અંગે હાલાકી વેઠવી પડી રહી છે. આ મુદ્દે વીમા કંપનીઓએ કવરેજ આપવાની અનઈચ્છા
દર્શાવી છે. ચેમ્બર મંત્રી મહેશ તીથાર્ણીએ
જણાવ્યું હતું કે, આ જી.આઈ.ડી.સી.
વિસ્તારમાં વરસાદના કારણે ઔદ્યોગિક શેડમાં
પાણી ભરાવવાની સમસ્યા સતાવી રહી છે. જેને કારણે
વારંવાર ઉત્પાદન બંધ કરવાની નોબત આવે છે. અપુરતી
ડેનેજ વ્યવસ્થા અને જાળવણીના અભાવે આ મુશ્કેલી
ઊભી થઈ છે. કાચા માલની આવક અને તૈયાર માલની નિકાસમાં વિલંબથી પરિવહન ખર્ચ પણ વધી જાય
છે. હાલમાં વરસાદીની મોસમ ફરી આવતી હોવાના કારણે આ વિસ્તારની તાત્કાલિક આ સમસ્યા ઉકેલવા
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છના તમામ ધારાસભ્યો સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત કરાઈ
છે. જી.આઈ.ડી.સી. વિભાગ દ્વારા સંયુકત સર્વે કરીને ધબ્ર સહિત કચ્છની અન્ય જી.આઈ.ડી.સી. વિસ્તારની સમીક્ષા કરીને તપાસ કરી યોગ્ય
સુધારા વધારા કરવા માટે ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં ચેમ્બર દ્વારા
સરકારી અધિકારી અને ઉદ્યોગકારો વચ્ચે ખુલ્લા સંવાદ માટે સંવાદ સત્રનું આયોજન કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ
કરવામાં આવી હતી. આ સંવાદ થકી જમીન સ્તરની
સમસ્યાઓ પ્રશાસન અને ઉદ્યોગકારો સુધી સ્પષ્ટ કરી પહોંચી શકાશે. આ માટે સામાધાન પણ ત્વરીત
પ્રયત્ન થકી શકય બનશે. ધ્રબ-મુંદરા જી.આઈ.ડી.સી. પ્રશ્ન ઉકેલવાની આશા સ્થાનિક ઉદ્યોગકારો રાજ્ય સરકાર પાસે રાખી રહ્યા
હોવાનુ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.