ગાંધીધામ, તા. 7 : આદિપુરમાં મહારાવ સર્કલ (મુંદરા
સર્કલ) નજીક બાઈકને બસે હડફેટમાં લેતાં ભીખાભાઈ બોચિયા (ઉ.વ. 59)નું મોત થયું હતું તેમજ અન્ય
એકને ઈજાઓ પહોંચી હતી. બીજીબાજુ આડેસર ચેકપોસ્ટ નજીક મોપેડ ડિવાઈડરમાં અથડાતાં ગાંધીધામના
પ્રભુ સ્વરૂપચંદ ઠક્કરે જીવ ખોયો હતો. અંજાર તાલુકાના ખોખરા (રાપર)માં રહેનાર ભીખાભાઈ
કામ અર્થે વીરા ગામે ગયા હતા, ત્યાંથી
રામજીભાઈ સાથે બાઈક લઈને વરસામેડી કામ માટે ગયા હતા, ત્યાંથી
પરત વીરા જવા નીકળ્યા હતા અને તા. 3/6ના બપોરના સમયે તેમને અકસ્માત નડયો હતો. તેઓ બાઈક નંબર જીજે-12-ઈએમ-1614 લઈને આદિપુરમાં ટાગોર રોડ મુંદરા
સર્કલ પાસે પહોંચ્યા હતા. દરમ્યાન ખાનગી બસ નંબર જીજે-39-ટી-3988એ આ બાઈકને હડફેટે લેતાં બંને
બાઈક સવારને ઈજાઓ પહોંચી હતી. જેમાં ભીખાભાઈને સારવાર અર્થે લઈ ગયા બાદ ફરજ પરના તબીબે
તેમને મૃત જાહેર કર્યા હતા. આ બસચાલક વિરુદ્ધ ભીમજી ભીખા બોચિયાએ પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. બીજીબાજુ આડેસર ચેકપોસ્ટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-27 ઉપર અકસ્માત સજાર્યો હતો. ગાંધીધામના
ગોપાલપુરીમાં રહેતા અને ડી.પી.એ.માં માળીનું કામ કરનારા પ્રભુ ઠક્કર મોપેડ નંબર જીજે-39-બી-6596 લઈને રાધનપુર ખાતે ખોડિયાર
માતાનાં દર્શને જઈ રહ્યા હતા. આ આધેડ ગત તા. 4/6ના ચેકપોસ્ટ નજીક પહોંચ્યા હતા. દરમ્યાન ડિવાઈડરમાં તેમનું મોપેડ
અથડાતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે તેમના દીકરા પ્રદીપે પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી.