ભુજ, તા. 7 : છેલ્લા કેટલાક દિવસોથી બસ સ્ટેશન
વિસ્તારમાં ફેરિયાઓને ખસેડી ઓપન એર થિયેટરમાં બેસાડવાની કાર્યવાહી ભારે વિવાદ ઊભો કરી
રહી છે. આજે આ કાર્યવાહીએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને ફેરિયાઓ અને સુધરાઇની ટીમ એક
તબક્કે સામસામે આવી ગયા હતા. જો કે, પોલીસે મોરચો સંભાળી બંને પક્ષને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. ભુજમાં ટ્રાફિક
સમસ્યા દિવસો દિવસ વકરી રહી છે. માર્ગો પર ઊભતા ધંધાર્થીઓ અને તેમના પાસે ખરીદી કરવા
આવતા ગ્રાહકોને પગલે અને જગ્યાએ મુખ્ય માર્ગો પણ કેડી સમા બની ગયા છે, જેને પગલે આમ નાગરિકોને વાહનોથી તો ઠીક પણ પગે પસાર થવામાં પણ નાકે દમ આવી
જાય છે. અહીં બીજો પક્ષ વિચારીએ તો નાના ધંધાર્થીઓના પરિવારનું ગુજરાન ચાલે એ પણ વિચારી
તંત્ર દ્વારા યોગ્ય જગ્યાઓ ફાળવી વ્યવસાયની છૂટ આપવી જોઇએ, જેથી
નાના ધંધાર્થીની રોજીરોટી ન છીનવાય. જો કે, આ જ અભિગમ અપનાવી
તંત્રે બસ સ્ટેશન વિસ્તારમાં ઊભતા શાકભાજીના ફેરિયાઓને ઓપન એર થિયેટરમાં પ્લોટ ફાળવી
વિવિધ સુવિધાઓ પણ ઊભી કરી દીધી, પરંતુ ફેરિયાઓ યેનકેન કારણોસર
આખો દિવસ ત્યાં બેસવા તૈયાર નથી અને એકાદ દિવસ ઓપન એર થિયેટરમાં બેસી ફરી બસ સ્ટેશન,
અનમ રિંગરોડ આસપાસના વિસ્તારોમાં ગોઠવાઇ ગયા. જો કે, સુધરાઇ અને એનયુએલએમની ટીમ દરરોજ સવારે માર્ગ પરથી ફેરિયાઓને હટાવી ઓપન એર
થિયેટરમાં વ્યવસ્થા કરવા ફરજ પાડી રહી હતી, પણ, વારંવાર આ કામગીરી છતાં ફેરિયાઓ ન માનતાં આજે આ કાર્યવાહી આકરી કરાઇ હતી અને
માલ-સામાન-રેંકડી સહિત જપ્ત કરવાની કામગીરી હાથ ધરતાં ફેરિયાઓએ ભારે વિરોધ કર્યો હતો.
એક તબક્કે તો બસ સ્ટેશન વિસ્તારમાં તંત્ર અને ફેરિયાઓ હાથાપાઇ સાથે સામસામે આવી જતાં
પોલીસે તાત્કાલિક મોરચો સંભાળી વિરોધ કરતાં ફેરિયાઓને પોલીસ સ્ટેશન લઇ જવાતાં મામલો
ઉગ્ર બન્યો હતો. હજુ તો માત્ર એક જ વિસ્તારમાંથી ફેરિયાઓને હટાવી ટ્રાફિક સમસ્યા હલ
કરવાના પ્રયાસમાં તંત્રને લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ થઇ ગઇ છે, ત્યારે સમગ્ર ભુજના અનેક મુખ્ય માર્ગો, વિસ્તારોમાં મોટી
સંખ્યામાં માર્ગો-ફૂટપાથ દબાવી ઊભતા વિવિધ લારી-ગલ્લાવાળાઓને કેમ હટાવી શકાશે તેવો
પ્રશ્ન જાગૃત નાગરિકોએ પૂછી સમગ્ર શહેરમાં આવાં દબાણો હટાવવા તો મિલિટરીની મદદ લેવી
પડે તેવી ટિખળ પણ કરી રહ્યા છે. ખરેખર તો જાગ્યા ત્યારથી સવાર સમજી કલેક્ટર દ્વારા
દિવસો દિવસ વધતાં જતાં લારી-ગલ્લાવાળાઓનાં દબાણ પર રોક લગાવી મુખ્ય માર્ગો,
ફૂટપાથ દબાવી ટ્રાફિક સમસ્યા સર્જતા ધંધાર્થીઓ પર રોક લગાવી તેમના માટે
અલગ સ્થળ ફાળવી ફૂડ કોર્નર ઊભો કરવો જોઇએ તે સમયની માંગ હોવાનું જાગૃતો કહી રહ્યા છે.
કોઇ નાના માણસની રોજીરોટી છીનવાય એમાં કોઇ રાજી ન હોય, પણ નાના
ધંધાર્થીની પણ ફરજ છે કે એ જાહેર માર્ગ, બજારમાં ટ્રાફિક તેમજ
લોકોને નડતરરૂપ ન ઊભે.