ભુજ, તા. 7 : કચ્છમાં ચોમાસાંનાં આગમનની
કાગડોળે વાટ જોવાઈ રહી છે, પણ એ પૂર્વે
જિલ્લામાં ફરી એકવાર ગરમી-ઊકળાટનું પ્રમાણ વધ્યું છે. 41.8 ડિગ્રીએ અંજાર-ગાંધીધામ વિસ્તાર
સતત બીજા દિવસે રાજ્યના ગરમ મથકમાં મોખરે રહ્યા હતા. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન
આ પ્રકારનું વાતાવરણ જળવાઈ રહેવા સાથે કોઈ મોટા ફેરફારની શક્યતાને નકારી છે. જિલ્લા
મથક ભુજમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાન 39 ડિગ્રીના આંક આસપાસ સ્થિર રહેતાં ખાસ કરીને મધ્યાહ્ન સમયે તાપનો
પ્રભાવ જોવા મળ્યો હતો. સરેરાશ છથી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે લૂની અસર પણ જોવા મળી હતી.
નલિયામાં 35.5 અને કંડલા પોર્ટમાં 36.1 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો
25થી 27 ડિગ્રી વચ્ચે રહેતાં રાત્રિના સમયે ઊકળાટનો પ્રભાવ જળવાયેલો
રહ્યો હતો. હવામાન નિષ્ણાતોના મતાનુસાર 16 જૂન બાદ નૈઋત્યનું ચોમાસું વેગ પકડશે, ત્યારે કચ્છમાં ચોમાસાંનું વિધિવત આગમન આ માસના
અંતમાં થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.