ભુજ/દહેરાદૂન, તા. 7 : બડાસુ હેલિપેડથી
ઉડાન ભરનાર હેલિકોપ્ટરનું શનિવારે યાંત્રિક ખામી સર્જાતાં રસ્તા પર તાકીદનું ઊતરાણ
કરાવવું પડયું હતું. એ દરમ્યાન તેનો પાછળનો ભાગ તૂટીને પડતાં દબાયેલી એક કાર આખી ક્ષતિગ્રસ્ત
થઈ ગઈ હતી. આ વિચિત્ર દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ પાંચ યાત્રી અને પાઇલટ સુરક્ષિત
બચી ગયા હતા. આ જ હેલિકોપ્ટરમાં હકીકતમાં પહેલાં મૂળ વાગડના પણ હાલ મુંબઈ રહેતા કચ્છીઓનું
જ એક જૂથ જવાનું હતું, પણ યુવાનોનું
અન્ય એક ગ્રુપ ઉતાવળ કરીને એ ચોપરમાં ચડી જતાં કચ્છીઓએ તેમને જવા દીધા હતા અને પછી
એ જ હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થયું હતું. ભુજથી ગયેલા ચારધામના સંઘ પ્રવાસમાં મુંબઈથી
જોડાયેલા બ્રાહ્મણ પરિવારોના લોકો પૈકી ત્રણ દંપતીનો આ હેલિકોપ્ટરમાં સવારીનો વારો
હતો, પણ અન્ય યુવાનો તેમને હટાવીને આગળ નીકળીને ચડી ગયા હતા.
આમ તેમના ભાગ્યમાં આ ચોપર અને દુર્ઘટનાથી બચવાનું લખ્યું હશે. દુર્ઘટના સર્જાઈ તે વખતે
હેલિકોપ્ટર કેદારનાથ જઈ રહ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, મામલાની તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય
છે કે, આ હેલિકોપ્ટર સેવાઓમાં સુરક્ષાના ધારાધોરણનું પાલન ન થતું
હોવાની વ્યાપક ફરિયાદો છે. ચારધામ યાત્રા શરૂ થયા બાદ આજે આ ચોથી હેલિકોપ્ટર દુર્ઘટના
સર્જાઈ હતી. દેશભરમાંથી 22 લાખથી વધુ
યાત્રી બાબા કેદારનાં દર્શન કરી ચૂક્યા છે.