• રવિવાર, 08 જૂન, 2025

સોગંદનામાને બદલે એકરારનામું

અમદાવાદ, તા. 7  (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. હવે સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યપદના ઉમેદવારો પાસેથી સોગંદનામા (એફિડેવિટ)ને બદલે માત્ર એકરારનામું જ મેળવવામાં આવશે. આ નિર્ણય ગુજરાત કોંગ્રેસે કરેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા કાયદાકીય જોગવાઈ ન હોવા છતાં વિવિધ દસ્તાવેજો અને દાખલાઓની માગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ કરાઈ હતી. અહીં નોંધવું ઘટે કે, ગુજરાત કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચની રૂબરૂ મુલાકાત લઈને રાજ્યભરમાંથી મળેલી ફરિયાદોના આધારે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ ફરિયાદોમાં જણાવાયું હતું કે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ઉમેદવારો પાસેથી એફિડેવિટ, વિવિધ દાખલાઓ અને સર્ટિફિકેટ માગતા હતા, જે ગેરકાયદેસર અને બંધારણ વિરુદ્ધ છે. કોંગ્રેસે આ પ્રક્રિયાને ઉમેદવારો માટે અનાવશ્યક અડચણરૂપ ગણાવી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ રાજ્ય ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. પંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રાંત અધિકારીઓ, મામલતદારો કે અન્ય ચૂંટણી અધિકારીઓએ ઉમેદવારો પાસેથી સોગંદનામું માગવું નહીં. જો કોઈ અધિકારી આવું કરશે, તો તેમની સામે તત્કાળ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશ ચૂંટણી પ્રક્રિયાને વધુ ન્યાયી અને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યો છે.  આ ઉપરાંત, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા, રાજ્ય ચૂંટણી આયોગે 25 ગુજરાત વહીવટી સેવા (જીએએસ) કેડરના સિનિયર અધિકારીઓને દરેક જિલ્લામાં ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ પગલું ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમિતતા જાળવવા માટેની પંચની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નિર્ણયથી ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં ઉમેદવારો માટેની પ્રક્રિયા વધુ સરળ થશે અને અનાવશ્યક અડચણો દૂર થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd