ભુજ, તા. 6 : ગાંધીજીની કચ્છયાત્રાની શતાબ્દી
ઉજવણી માટેની વિવિધ તૈયારીઓને ઓપ આપવાનો આરંભ થઇ ચૂક્યો છે અને આ માટે વિવિધ બેઠકોનું
આયોજન પણ તબક્કાવાર શરૂ થઇ ગયું છે. શતાબ્દી સમિતિના અગ્રણી રમેશભાઇ સંઘવીએ આ અંગેની
વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીજીની
કચ્છયાત્રાની શતાબ્દી ઉજવણી અવસરે યોજાનારી સાઇકલ તથા પદયાત્રાના સૂચિત માર્ગનું નિરીક્ષણ
કરવા એક ખાસ ટુકડી આ માર્ગમાં આવતાં ગામોની તાજેતરમાં મુલાકાત લેશે. આ ટુકડીમાં હસમુખભાઇ
પટેલ તથા ગીતાબેનનો સમાવેશ થાય છે. તેઓ આ માર્ગનાં ગામના વડીલો અને શાળાઓની મુલાકાત
લેશે. યાત્રા દરમ્યાન ગામમાં રહેવા-ભોજન તથા અન્ય યોજી શકાય તેવા કાર્યક્રમો અંગે પણ
વિચારણા કરશે. સાઇકલયાત્રા 24 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમ્યાન યોજાશે. આ ઉજવણીમાં વધુમાં વધુ લોકો તથા સામાજિક
અને ખાદી સંસ્થાઓ પણ જોડાય એ માટે સંપર્ક અભિયાન પણ સમિતિ દ્વારા ટૂંક સમયમાં આરંભાશે.
આ માટે આગામી સમયમાં સંસ્થાના સંચાલકો તથા કાર્યકરોની એક ખાસ શિબિરનું પણ આયોજન હાથ
ધરાઇ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા પણ વ્યાપક અભિયાન હાથ
ધરાઇ રહ્યું છે. ગાંધીજીની કચ્છયાત્રાની ઉજવણી સંદર્ભે ભુજ ખાતે પણ જિલ્લાની શાળાઓનો
સંપર્ક કરી બાળમેળો, વિવિધ સ્પર્ધાઓ
યોજવાનું આયોજન પણ વિચારાઇ રહ્યું છે. આ માટે જિલ્લાભરમાંથી 500થી વધુ શાળાના વિદ્યાર્થીઓને
એકઠા કરવાનું આયોજન ઘડાઇ રહ્યું છે. આગામી 26-27 જુલાઇ દરમ્યાન આ બાળમેળો યોજવાની સંભાવના પણ રમેશભાઇએ વ્યક્ત કરી હતી. આ માટે કેતનાબેન નાગડા
આયોજનની તૈયારી કરી રહ્યા છે. આ જ રીતે જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ પણ આ આયોજનમાં
જોડાય તે માટેની વિચારણા પણ ચાલી રહી છે. આગામી છ મહિના દરમ્યાન શાળાઓમાં આ પ્રવૃત્તિ
ગાજતી રહે, ગાંધીવિચારોનો પ્રસાર,
સ્વાવલંબન, સ્વાશ્રય, સ્વચ્છતા
અને સુઘડતા જેવા મૂલ્યોનું મહત્ત્વ બાળકો સમજે અને જીવનમાં ઉતારે એ માટે વ્યાપક આયોજન
ઘડાઇ રહ્યું છે. આ સમગ્ર આયોજનમાં વિવિધ સમિતિના સભ્યો ઘટિત લહેરુ, ગીતાબેન જાગાણી, હસમુખભાઇ પટેલ, સંજયભાઇ ઠાકર, હરેશભાઇ ધોળકિયા, નરેશ અંતાણી, મહેશ ગોસ્વામી, હરેશભાઇ
હુરમાડે, કેતનાબેન નાગડા, કૃતિબેન લહેરુ,
દલપતભાઇ દાણિધારિયા, દિનેશભાઇ ઠક્કર, કનુભા જાડેજા, નિરુપમ છાયા, દર્શનાબેન
ધોળકિયા, સુષ્માબેન આયંગર, ડો. મોહનભાઇ
પટેલ, પ્રીતિબેન પ્રજાપતિ, દિનેશભાઇ સંઘવી
સહિતના આયોજન સંભાળી રહ્યા છે. કચ્છની કોલેજના વિદ્યાર્થીઓને પણ આ વિરલ યાત્રાથી અવગત કરાવી
ગાંધીવિચારનો પ્રસાર કરી શકાય એ માટે ડો. રમજાન હસણિયા પણ આયોજન ઘડી રહ્યા છે. જિલ્લાનાં
તમામ તાલુકા મથકોની કોલેજમાં વિવિધ વક્તાઓ ગાંધીવિચારને વહેતા મૂકે તેવું આયોજન કરાઇ
રહ્યું છે. આ કાર્યમાં જોડાવા પ્રીતિબેન 96872 13677 તથા ગીતાબેન 75674 34777નો સંપર્ક કરવા જણાવાયું છે.