• શનિવાર, 27 જુલાઈ, 2024

`મહિલા અનામત ખરડાને મંજૂરી'

નવી દિલ્હી, તા. 18 : અપેક્ષાકૃત સંસદનું ટૂંકુ વિશેષ સત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તેવી રીતે ઐતિહાસિક બની જવાનું છે. આજે સંસદની એનેક્સી બિલ્ડિંગમાં વડાપ્રધાન મોદીનાં અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત ખરડાને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આવતીકાલથી નવા સંસદ ભવનમાં વિધાયકી કાર્યો શરૂ થવાનાં છે ત્યારે તેનાં શ્રીગણેશ આ અતિપ્રતિક્ષિત મહિલા આરક્ષણ સાથે થશે તેવી આશા છે. આજની કેબિનેટની બેઠક બાદ કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી પણ પ્રાપ્ત અહેવાલો અનુસાર મંગળવારે સંસદની નવી ઈમારતમાં 33 ટકા મહિલા અનામતનું વિધેયક લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આજે મળેલી કેબિનેટની બેઠક આશરે દોઢેક કલાક સુધી ચાલી હતી. જેમાં મહિલા અનામત ખરડાને મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આશરે 27 વર્ષથી અટકેલો આ ખરડો હવે સંસદનાં તખ્તા ઉપર આવી રહ્યો છે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 1પ ટકા કરતાં ઓછી છે. જ્યારે રાજ્યસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી પણ ઓછું છે. છેલ્લે 2010માં આ દિશામાં પગલું ભરવામાં આવ્યું હતું અને રાજ્યસભાએ ભારે હંગામા વચ્ચે આ ખરડો મંજૂર કરી દીધો હતો. એ વખતે આ ખરડાને ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું અને જો હવે વિશેષ સત્રમાં આ ખરડો લોકસભાનાં મંચ ઉપર આવશે તો તેમાં કોંગ્રેસનું સમર્થન મળવાનું સુનિશ્ચિત છે. કારણ કે હાલમાં જ કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં પણ આનાં માટે માગણી કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang