નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે
ગુરુવારે સબરીમાલા કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે, મંદિરોમાં પ્રવેશ રોકવાથી સમાજ વિભાજિત થશે.
આવાં કૃત્યથી હિન્દુ ધર્મને પણ નુકસાન થાય તેમ છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું
હતું કે, ધર્મ સાથે જોડાયેલા વિવાદો સંવેદનશીલ હોય છે. ધાર્મિક
મામલાઓમાં અદાલતોએ હસ્તક્ષેપ ન કરવો જોઇએ. જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું હતું કે,
જેટલા વધુ લોકો અલગ-અલગ મંદિરો અને મઠોમાં જશે તેટલો જ ધર્મ મજબૂત બનશે.
સબરીમાલા મંદિરમાં માસિકધર્મમાં આવતી હોય તેટલી ઉંમરની મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધના
મામલામાં ગુરુવારે સુનાવણી વખતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટના ફેંસલાનો આધાર ખોટો છે. મહિલાઓના મંદિર પ્રવેશ
પર રોકનું સમર્થન કરતાં કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું
કે, 2018ના ફેંસલામાં પુરુષ કરતાં ત્રીને
ઓછી આંકીને એ આધાર પર મહિલાઓને મંદિરમાં પ્રવેશ દેવાનો આદેશ અપાયો હતો. ધાર્મિક સ્થળો
પર મહિલાઓ સાથે ભેદભાવના મામલા છેલ્લાં 26 વર્ષથી દેશની અદાલતોમાં છે. 2018માં પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠે ચાર વિરુદ્ધ એકના બહુમતથી મંદિરમાં
મહિલાઓના પ્રવેશ પર રોક હટાવી દીધી હતી. આ પ્રતિબંધ હટયા બાદ અનેક પુનર્વિચારની માંગ
કરતી અરજીઓ કરાતી રહી છે. સુપ્રીમની નવ ન્યાયમૂર્તિની ખંડપીઠે 22 એપ્રિલ સુધી 50થી વધુ અરજીઓની સુનાવણી કરશે. સોલિસીટર
જનરલ મહેતા બોલ્યા હતા કે, દક્ષિણ ભારતીય
મંદિરોમાં પ્રસાદમાં શરાબ અપાય છે. કાલે આપ શરાબ આપવા સામે વાંધો નહીં ઊઠાવી શકો. એવાં
ઉદાહરણો પણ છે જ્યાં પુરુષોને મંદિરમાં પ્રવેશની છૂટ નથી હોતી. કેરળના કોટ્ટનકુલંગરા
મંદિરમાં એક ઉત્સવમાં પુરુષો મહિલાઓના પોષાકમાં તૈયાર થાય છે. કેન્દ્ર સરકાર વતી મહેતાએ
કહ્યું હતું કે, આ મામલો કોઇ એક લિંગના પક્ષ કે વિરોધનો નથી,
પરંતુ ધાર્મિક પરંપરાઓ, આસ્થાઓથી જોડાયેલો છે.
દરેક ધાર્મિક સ્થળની પોતાની એક અલગ પરંપરા હોય છે, જેને એક દૃષ્ટિકોણથી
જોઇ ન શકાય, તેવું તેમણે જણાવ્યું હતું.