આનંદ કે વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 1 : છેલ્લા નવ
દિવસમાં બીજીવાર ચૂંટણીપંચના અધિકારીઓ પર પ્રહાર કરતાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ
સંસદમાંથી બહાર આવીને મીડિયા સાથે વાત કરતાં શુક્રવારે આરોપ મૂક્યો હતો કે, ચૂંટણીપંચ મતોની ચોરી કરાવે છે. અમારી પાસે
એટમબોમ્બ છે, જ્યારે ફાટશે ત્યારે ચૂંટણીપંચ બચશે નહીં. છ મહિનાની
મહેનત કરીને બનાવેલો આ `અણુબોમ્બ' પાંચમી ઓગસ્ટના બેંગ્લોરમાં પ્રદેશ કોંગ્રેસ
કાર્યાલયમાં ફોડાશે, તેવું રાહુલે કહ્યું હતું. દેશનાં ચૂંટણીપંચે રાહુલ ગાંધીના આરોપો ફગાવી દેતાં
એવી સલાહ આપી હતી કે, ચૂંટણી અધિકારીઓ નિષ્પક્ષ અને પારદર્શક
રીતે કામ કરે જ છે, પરંતુ આવાં પાયાવિહોણા અને બેજવાબદાર નિવેદનો પર ધ્યાન ન આપે. પંચે કહ્યું
કે, રાહુલે કોઈ લેખિત રજૂઆત કરી નથી. લોકસભામાં વિપક્ષના નેતા
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, અમારી પાસે ચૂંટણીપંચ મતોની
ચોરી કરાવે છે તેના નક્કર પુરાવા છે. બિહાર એસઆઇઆર પર રાહુલે આરોપ મૂકયો હતો કે, આ મતચોરીમાં ચૂંટણીપંચ સામેલ છે.
હું આ નક્કર પુરાવા સાથે બોલી રહ્યો છું. કહેવા ખાતર નથી કહી રહ્યો. સૌથી મહત્ત્વપૂર્ણ
વાત એ છે કે, ચૂંટણીપંચમાં ઉપરથી નીચે સુધી જે કોઇ પણ આ કામમાં
સામેલ છે, તેને અમે નહીં છોડીએ, તેવી વાત
રાહુલે કરી હતી. ચૂંટણીપંચ પર આરોપ લગાવતાં કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે,
મધ્યપ્રદેશ અને લોકસભા ચૂંટણીઓ બાદ વિપક્ષની શંકા વધારે વધી ગઇ છે. મહારાષ્ટ્ર
વિધાનસભા ચૂંટણી પછી અમારી શંકા વધુ ઊંડી બની ગઇ. ખાસ કરીને અમે જોયું કે, અંતિમ મતદારયાદીમાં અચાનક એક કરોડ નવા મતદાતા ઉમેરાઇ ગયા. ત્યારે જ અમારાં
મનમાં અહેસાસ થઇ ગયો હતો કે, ચૂંટણીપંચ કોઇ કાર્યવાહી નહીં કરે.
એટલે અમે પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી, તેવું રાહુલે કહ્યું
હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એવો દાવો કયો હતો કે, અમારી તપાસમાં જે કંઇ સામે આવ્યું છે, તે `પરમાણુબોબ્બ'થી ઓછું ખતરનાક નથી. ચૂંટણીપંચે રાહુલના આરોપો
બેજવાબદાર લેખાવી તેના અધિકારીઓને ધ્યાન ન આપવા જણાવ્યું હતું.