નવી દિલ્હી, તા. 6 (પીટીઆઈ)
: ભારતના મુખ્ય ન્યાયાધીશના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેતા ભૂતપૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડને
નિવાસસ્થાન ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્રે કેન્દ્રને પત્ર લખ્યો છે, જેમાં નોંધ્યું છે કે, વર્તમાન રહેવાસી ભૂતપૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ માન્ય સમયગાળા કરતાં વધુ સમય
માટે રોકાયા છે. જો કે, આ વિવાદ વચ્ચે ચંદ્રચૂડે બંગલો ખાલી કરવામાં
થતા વિલંબનું કારણ તેમની પુત્રીની ખાસ સ્વાસ્થ્ય જરૂરિયાતો ગણાવી છે. ગૃહ અને શહેરી
બાબતોના મંત્રાલયને લખેલા પત્રમાં સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે,
ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ માટે નિયુક્ત નિવાસસ્થાન - કૃષ્ણ મેનન
માર્ગ પર બંગલો નંબર 5 - ખાલી કરવામાં
આવે અને કોર્ટના હાઉસિંગ પૂલમાં પરત કરવામાં આવે એવું સૂત્રોએ જણાવ્યું હતું. પત્રમાં
ગૃહ મંત્રાલય સચિવને વિનંતી કરાઈ હતી કે, તેઓ કોઈપણ વિલંબ વિના ભૂતપૂર્વ સીજેઆઈ પાસેથી બંગલોનો કબજો લઈ લે. કારણ કે,
તેમને રહેવા માટે અપાયેલી પરવાનગી 31 મેના સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ તેમન આપવામાં આવેલી છ મહિનાની અવધિ 10 મેના પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે
વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ફરીથી કાર્યરત ઉપયોગમાં લઈ શકાય તે માટે,
વધુ વિલંબ કર્યા વિના બંગલાનો તાત્કાલિક કબજો મેળવવો જરૂરી છે. આ મામલે
પૂર્વ સીજેઆઈ ચંદ્રચુડે તેમની પુત્રીની ખાસ સ્વાસ્થ્ય જરૂરિયાતોને વિલંબનું કારણ ગણાવ્યું
છે. તેમણે કહ્યું હતું કે, બંગલામાં પુત્રીના સ્વાસ્થ્ય સંબંધી
આઈસીયુ સહિતની વ્યવસ્થાઓ ગોઠવાયેલી હોવાથી સરકારી આવાસ ખાલી કરવામાં વિલંબ થઈ રહ્યો
છે. જો કે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે, બંગલો જલદી ખાલી કરી આપશે.