નવી દિલ્હી, તા.6 : કેન્દ્રીય
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે દુનિયામાં અશાંતિનો ઉલ્લેખ કરતાં ગમે ત્યારે
વિશ્વયુદ્ધ છેડાઈ શકે તેવી ચેતવણી આપી હતી. ગડકરીએ કહ્યું કે દુનિયામાં અત્યારે રૂસ-યુક્રેન
અને ઈઝરાયલ-ઈરાન જેવાં યુદ્ધોને કારણે ઘર્ષણની સ્થિતિ બનેલી છે. તેમણે ચેતવણી આપી હતી
કે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે જેનાથી ગમે તે ઘડીએ વિશ્વયુદ્ધ છેડાઈ
શકે છે. કેન્દ્રીય મંત્રી નાગપુરમાં `િબયોન્ડ બોર્ડર્સ' પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં બોલી રહ્યા
હતા. તેમણે એમ પણ કહ્યું કે મહાશક્તિઓની તાનાશાહી અને અધિનાયકવાદને કારણે દુનિયામાંથી
સમન્વય, સૌહાર્દ અને પ્રેમ ઘટી રહ્યાં છે. તેમણે કહ્યું કે આજે
આખી દુનિયામાં સંઘર્ષનું વાતાવરણ છે. તેનાથી ગમે ત્યારે વિશ્વયુદ્ધ છેડાઈ શકે છે. તેમણે
ભારતના સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારત બુદ્ધની ધરતી છે,
જેણે દુનિયાને સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ
આપ્યો છે. ગડકરીએ જણાવ્યું કે યુદ્ધ લડવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. હવે ટેન્ક અને પારંપરિક
વિમાનો ઓછાં ઉપયોગી રહ્યાં છે જ્યારે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે.