• શનિવાર, 27 જુલાઈ, 2024

જી.કે. જનરલ હોસ્પિટલમાં 50 તમાકુ બંધાણી વ્યસનમુક્ત થયા

ભુજ, તા. 30 : જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં છેલ્લા વર્ષ દરમ્યાન 50 જેટલા તમાકુ અને બીડી, સિગારેટ, ખેની અને ગુટકાના બંધાણીઓને માનસિક સારવાર, કાઉન્સેલિંગ અને દવા દ્વારા વ્યસનમુક્ત કર્યા હતા અને અત્યારે પણ આવા અનેક દર્દીઓને સારવાર અપાઈ રહી છે, એમ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબોએ જણાવ્યું હતું. હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના વડા ડો. મહેશ તિલવાણીએ 31મી મે વર્લ્ડ `નો ટોબેકો ડે' નિમિત્તે જણાવ્યું હતું કે, તમાકુ અનેક રોગનું કારણ છે. વિશ્વમાં 80 લાખ વ્યક્તિ દર વર્ષે તેનો શિકાર થાય છે. તમાકુના બંધાણીઓને તમાકુના દારુણ દૈત્યથી બચાવવા મનોચિકિત્સા અને કાઉન્સેલિંગ આપી વ્યસન છોડાવી શકાય છે. જી.કે.માં વૈકલ્પિક ઔષધો પણ ઉપલબ્ધ હોવાથી બંધાણીઓને દવા અને માનસિક સારવાર આપી ધીમે ધીમે વ્યસનમુક્ત કરવામાં આવે છે. માનસિક સારવાર કેવી રીતે અપાય છે એ સવાલના પ્રત્યુત્તરમાં ડો. તિલવાણી અને ડો. શિવાંગ ગાંધીએ કહ્યું કે, આ સારવારના ચાર તબક્કા છે. પ્રથમ તો બંધાણીએ જાતે જ માનસિક તૈયાર થવું પડે છે. જેમાં દર્દીએ ઢચું-પચું વલણ નહીં પણ સો ટકા તમાકુ વિરુદ્ધ થવું પડે છે. ક્યારેક વ્યસનવાળા દર્દીઓ વ્યસનનું ઉપરાણું લેતા હોય છે. જેમ કે, તમાકુ ખાવાથી તરોતાજા રહેવાય છે, કામમાં મન લાગે છે. આ બધી ભ્રામક વાતોથી તેમને છૂટકારો અપાય છે, જે બીજો તબક્કો છે. ત્રીજા તબક્કામાં બંધાણીઓને તમાકુ વિરુદ્ધમાં અભિપ્રાય ઊભા કરવાનું સમજાવાય છે. તમાકુને કારણે થતા સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્યને લગતા ગેરફાયદા કાગળ ઉપર લખી સતત તેનું વાંચન કરવાનું કહેવાય છે. જે એક લાંબાગાળાની પણ સબળ માનસિકતા ઊભી કરે છે. જ્યારે ચોથી અને છેલ્લી સૌથી અગત્યની વાત એ પ્રાર્થના-બંદગી છે જે મનોબળ દૃઢ બનાવે છે. કાઉન્સેલર કરિશ્માબેન પારેખે કહ્યું કે, વ્યસન છોડવા માગતી વ્યક્તિનું વિચાર પરિવર્તન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને રોજિંદગી જિંદગીમાં સામાજિક પુન:વસન કેવી રીતે કરી શકે તે માટે ક્રમબદ્ધ કાઉન્સેલિંગ કરાય છે. સામાન્ય રીતે વ્યક્તિ સામાજિક પરિસ્થિતિ, પૈસાની તંગી, તક ચૂકી જવી, સામાજિક પરિસ્થિતિ અને દેખાદેખીને કારણે બંધાણી બની જાય છે, પરંતુ તેનામાં આત્મશ્રદ્ધા સિંચીને લતમાંથી છોડાવી શકાય છે. કાઉન્સેલિંગ મારફતે 10 બંધાણીઓ વ્યસનમુક્ત થયા છે, એમ તેમણે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang