• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ઉજ્જૈન : મહાકાલ મંદિર પાસે દીવાલ તૂટી પડતાં બેનાં મોત

ઉજ્જૈન, તા. 27 : મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત પ્રસિદ્ધ મહાકાલ મંદિરના ચોથા નંબરના દ્વાર પાસે આજે રાત્રે દીવાલ ધસી પડતાં કાટમાળમાં બેના દબાઈ જવાથી મૃત્યુ થયાં હતાં, જ્યારે એક મહિલા અને ત્રણ વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. બંનેને વધુ સારવાર માટે ઈન્દોર ખસેડાયા હતા. રાત્રિના બનેલી ઘટનામાં જિલ્લાના એસપી અને કલેક્ટર ઘટનાસ્થળે ધસી ગયા હતા. બુલડોઝરની મદદથી રાહત-બચાવકાર્ય ચાલી રહ્યું છે.મળતી વિગતો મુજબ મહાકાલ મંદિર પાસે મહારાજવાડા સ્કૂલમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. અહીં મહાકાલ ફેઝ-ટુનું કામ પણ ચાલી રહ્યું હતું. આજે સવારથી જ વાદળછાયાં વાતાવરણ બાદ બપોરના ભારે વરસાદ ખાબક્યો હતો. રાત્રે જે સમયે દીવાલ ધસી પડી તે સમયે પણ ભારે વરસાદ થઈ રહ્યો હતો. પાણીના ભારે વહેણમાં દીવાલ કડડડભૂસ થઈ હતી અને તેની નીચે દુકાન લગાવીને બેઠેલા લોકો દીવાલ તળે દબાઈ ગયા હતા. તાબડતોબ બચાવ-રાહતકાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ અને એસડીઈઆરએફના જિલ્લા કમાન્ડન્ટ સંતોષકુમાર જાટે જણાવ્યું કે, મહાકાલની સંધ્યાઆરતીની ઠીક અગાઉ દીવાલ ધસી પડી હતી. કાટમાળમાં બે મહિલા, એક પુરુષ અને બે નાનાં બાળક દબાયા હતા. હાલમાં ઘટનાસ્થળેથી કાટમાળ હટાવી દેવાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang