• શનિવાર, 27 જુલાઈ, 2024

મુંદરા વાડીવિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં આરોપીઓ જામીન પર મુક્ત

ભુજ, તા. 20 : મુંદરાના વાડીવિસ્તારમાં ખેતરના શેઢામાંથી રેતી ઉપાડવાના મામલે ધારિયા સહિતના હથિયારો વડે હત્યાના પ્રયાસરૂપે કરાયેલા હુમલાના કેસમાં બે સગીર આરોપીને નીચલી કોર્ટે શરતોને આધીન તથા મુખ્ય આરોપી અબ્દુલકરીમ ઉર્ફે ગુલામ આમદ સમેજાને સેશન્સ કોર્ટે નિયમિત જામીન આપ્યા હતા. ફરિયાદીની વાડીને નુકસાન થતું હોવા અંગે આરોપીઓને અટકાવાયાનું મનદુ:ખ રાખી કરાયેલા જીવલેણ હુમલામાં બંને બાળ આરોપીને અદાલતે શરતોના આધારે જામીન મુક્ત કર્યા હતા, જ્યારે આરોપી અબ્દુલકરીમે નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલોના આધારે અરજી માન્ય રાખી હતી. બાળ આરોપીઓ વતી વકીલ કૈલાસદાન ગઢવી તથા મુખ્ય આરોપી વતી ધારાશાત્રી કે. પી. ગઢવી હાજર રહ્યા હતા. દીવાની દાવો મંજૂર અંજાર તાલુકાના મેઘપર કુંભારડીના જમીન એકત્રીકરણ બાદ નવા સર્વે નંબરની જમીન અંગે 16 વર્ષ જૂના કેસમાં વાદી રસીલાબેન મૂળજીભાઇ હમીપરા તથા પુષ્પાબેન દેવનદાસ ભોજવાણી તરફે અંજાર કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ મામલે લીલારામ કૃપાલદાસ કેલા વિરુદ્ધ ફોજદારી તથા દીવાની દાવો નોંધાયો હતો, જેમાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી વાદીઓ તરફે ચુકાદો આપી દાવો મંજૂર કરતો આદેશ કર્યો હતો. વાદી તરફે ધારાશાત્રી વી. વી. ચાવડા, કે. આર. સોરઠિયા અને એચ. એમ. પુરોહિતે હાજર રહી દલીલો કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang