ભુજ, તા. 30 : માંડવી તાલુકાનાં બિદડા ગામની
ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા બાબતે પાર્વતીબેન પ્રવીણભાઈ રાજગોરને અપાયેલી નોટિસના
કેસમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો અદાલતે આદેશ કર્યો હતો. બિદડા પંચાયત વતી સરપંચ
દ્વારા અપાયેલી આ નોટિસ સામે માંડવીની સિવિલ અદાલતમાં દાવો કરીને મનાઈ હુકમ મગાયો હતો.
બંને પક્ષના પક્ષકારોને સાંભળી અદાલતે પંચાયત દ્વારા થયેલી કાર્યવાહી પંચાયત ધારાની
જોગવાઈઓ વિરુદ્ધની હોવાનાં તારણ સાથે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં
પાર્વતીબેન વતી વકીલ તરીકે પુપુલ એસ. સંઘાર રહ્યા હતા. - એટ્રોસીટી કેસમાં છુટકારો : માંડવી તાલુકામાં ગઢશીશા પોલીસ મથકમાં દાખલ
થયેલા એટ્રોસીટી ધારાના ફોજદારી કેસમાં આરોપી અખ્તરહુશેન અબ્દુલ્લા સમાને નિર્દોષ ઠેરવતો
ચૂકાદો ભુજ સ્થિતિ ખાસ અદાલતે આપ્યો હતો. બંને પક્ષની દલીલો અને આધાર પુરાવા તપાસી
ન્યાયાધિશે આ ચૂકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે વસીમ એ. અરબ, નીતાબેન ડોટ અને સીતારા સમા રહ્યા હતા. - રિવિઝન કાઢી નાખતો હુકમ : ભુજ તાલુકાનાં ધ્રોબાણા ગામ આવેલી ખેતીની
જમીન સબંધી વિવાદમાં બંધ રેકર્ડની નોંધોને પડકારતી રિવિઝન કાઢી નાખતો આદેશ કલેક્ટરની
કોર્ટએ કર્યો હતો. આ કેસમાં સામાવાળા પૈકીના સ્વ. મોડજી કાંયાજી સમાના વારસદારોના વકીલ
તરીકે એસ.કે. ઘાવરી રહ્યા હતા.