ગાંધીધામ, તા. 10 : સાથે રહેતી સ્ત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી ખાડામાં દાટી દીધી હોવાના બનાવમાં ગાંધીધામ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો હતો. બનાવની વિગત એવી છે કે, અંજાર તાલુકાની તુણા સીમમાંથી જમીનમાં દાટેલો માનવ કંકાલ, હાડકાં તથા ખોપરી મળી આવી હતી, જેથી તા. 14/11/2020ના આરોપી ધનાભાઈ પબાભાઈ પરમાર વિરુદ્ધ મહિલાની હત્યા નીપજાવી તેને ખાડામાં દાટી, પુરાવાનો નાશ કરવા અંગે મૃતકના પિતાએ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કરી હતી. આ કેસ ચાલી જતાં અધિક સેસન્સ જજ એ.એમ. મેમન દ્વારા લેખિત અને મૌખિક પુરાવાઓ ધ્યાને લઇ આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે રાજકુમાર ટી. લાલચંદાણી તથા મમતા આહુજા, રાજેશ માલી, સાગર મસૂરિયા હાજર રહ્યા હતા.