ભુજ, તા. 21 : માંડવી તાલુકાના ત્રગડીની પરિણીતા અરૂણાબા ભરતસિંહ જાડેજાએ ઝેરી દવા પી લેતાં તેનું તા. 26/4ના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ બનાવમાં પતિ અને બે નણંદના ત્રાસથી કંટાળીને અરૂણાબાએ આપઘાત કર્યાની ફરિયાદ અરૂણાબાના પિતાએ નોંધાવી છે. ગામ ખેડા, તા. સાણંદ, જિ. અમદાવાદ રહેતા રાજેન્દ્રસિંહ ભીખુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સાડા છ એક વર્ષ પહેલાં ત્રગડીમાં ભરતસિંહ જાડેજા સાથે તેમની દીકરી અરૂણાબાને રિત-રિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા. એક વર્ષ સુધી જમાઈએ ફરિયાદીની દીકરીને બરોબર રાખ્યા બાદ આરોપી ભરતસિંહ સતુભા જાડેજા અને બે નણંદ હિનાબા તથા સોનલબા શારીરિક તથા માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોએ ઝઘડા કરતા હોઈ અગાઉ અરૂણાબાએ એસીડ પી લીધું હતું, પરંતુ સમયસર સારવારનાં પગલે ત્યારે બચી ગયા હતા. બાદ ફરિયાદી દીકરીને ઘરે તેડી લાવ્યા હતા, પણ ઘર-સંસાર ન બગડે તે અર્થે સમજાવીને પરત સાસરિયામાં મૂકી આવ્યા હતા. હાલ ફરી આરોપીના ત્રાસથી ઝેરી દવા પી લીધાનું સારવાર દરમ્યાન જ અરૂણાબાએ ફરિયાદીને જણાવ્યું હતું. સારવારમાં અરૂણાબાનું મૃત્યુ નીપજતાં આરોપીઓ વિરુદ્ધ માંડવી મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.