ભુજ, તા. 22 : એકાદ માસ પૂર્વે અંજારમાં થયેલા વૃદ્ધ દંપતીનાં ઘરમાં લૂંટ સાથે જીવલેણ હુમલાના પ્રકરણમાં આરોપીને જામીન પર મુકત કરવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટે કર્યો છે. ગત તા. 23/1ના રાતે અંજારમાં વૃદ્ધ દંપતી પ્રતિમાબેન અને ભરત શાંતિલાલ શાહના ઘરમાં ચાર આરોપીએ છરી બતાવી સોનાંની બંગડીની લૂંટ કરી છરીથી જીવલેણ હુમલો કરી નાસી ગયાની ફરિયાદ બાદ આ આરોપીઓ પૈકી જૈકીગિરિ યોગેશગિરિ ગોસ્વામીની સંડોવણી ખૂલતાં તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી અને અંજાર કોર્ટમાં તેના નિયમિત જામીન નામંજૂર થયા હતા. આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતાં બન્ને પક્ષની દલીલો સાંભળી હાઈકોર્ટના જજ ડી.એ. જોશીએ આરોપીને જામીન પર મુક્ત કર્યા હતા. આરોપી તરફે ધારાશાત્રી આશિષ એમ. ડગલી અને અમન એ. સમાએ હાજર રહી દલીલો કરી હતી. - ચેક પરતમાં ચોવીસીનો યુવાન નિર્દોષ : આઠ લાખ રૂપિયાનો ચેક પરત થવાના આરોપી ભીમજી રવજી રાબડિયા (પટેલ) કે જે ભુજ વાણિયાવાડમાં સ્વામિનારાયણ શેરડી હાઉસના માલીક છે, તેને નિર્દોષ છોડી મુકતો ચુકાદો નામદાર સેશન્સ કોર્ટે આપ્યો છે. મૂળ અંજારના પ્રતિપાલસિંહ મહાવીરસિંહ (માવુભા) વાઘેલાએ અંજારની ના. ચીફકોર્ટમાં ચેક રિટર્ન થયાની ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ધનુભા દલાજી જાડેજા, બશીર ઇસ્માઈલની રૂબરૂમાં હાથઉછીના આઠ લાખ ભીમજી પટેલને આપ્યા બાદ ચેક પરત થયેથી અંજાર ના. કોર્ટે એક વર્ષની સાદી કેદનો હુકમ કરેલો, તે સામે અપીલ ચાલી જતાં ભીમજી પટેલને છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના વકીલ મહમદ ઈકબાલ દેદા, હાર્દિક કાતરિયા, અલ્તાફ બાયડ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુવાનને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નેંધાઈ હતી. ઝેર ગટગટાવ્યાના બનાવો બન્યા બાદ વ્યાજવટારૂપી માફિયા સામે તવાઈ આવી હતી. - વીજ મીટર ફાસ્ટ ફરવાની ફરિયાદ રદ : પીજીવીસીએલ નખત્રાણા સબ ડિવિઝનના ગ્રાહક ઈબ્રાહીમ મામદ કુંભારે ફરિયાદ કરી હતી કે, તા. 16-9-'15ના પીજીવીસીએલ દ્વારા નવું ડિજિટલ મીટર લગાડવામાં આવતાં તે ફાસ્ટ ફરતો હોવાથી ફરિયાદીને રૂા. 46,787નું બિલ આવતાં ફરિયાદીએ પીજીવીસીએલ વિરુદ્ધ ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશન, ભુજ કોર્ટમાં રજૂ કરતાં બન્ને પક્ષના આધાર-પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી પીજીવીસીએલ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ રદ કરવામાં આવી હતી. આ કેસમાં પીજીવીસીએલ વતી વકીલ જી.એન. દુલેર, એમ.પી. સીજુ અને ડી.એસ. જાજાણી હાજર રહ્યા હતા. - મેઘપરની જમીન સંબંધે હુકમ : ભુજ તાલકાના ગામ મેઘપરના લાલજી કેશરા હાલાઈ અને શિવજી કેશરા હાલાઈએ પોતાના પિતા અને તેમના અન્ય વારસદારો સામે કચ્છ જિલ્લા કલેક્ટર સમક્ષ તેમના પિતા કેશરાભાઈની ખેતીની જમીન સંબંધે બે અપીલ કરી હતી, જે ચલાવીને નીકાલ થતાં બન્ને અપીલ નામંજૂર કરવામાં આવી છે. પિતા કેશરાભાઈએ પોતાની સ્વકમાઈની ખેતીની જમીન મેઘપરના સર્વે નં.124/પૈકી3 અને 124/પૈકી76 તથા 124/પૈકી22 વાળી ખેતીની જમીન પોતાના એક દીકરા વાઘજી કેશરા હાલાઈને રજિ. દસ્તાવેજથી વેચાણ આપી હતી. તેમાં વાંધો લેતાં કલેકટરે મદદનીશ કલેકટરનો હુકમ કાયમ રાખીને એપેલન્ટની અપીલ નામંજૂર કરી હતી તથા તકરારી નોંધ નં.1716 રદ કરવાની અપીલ નામંજૂર કરી મદદનીશ કલેકટરનો હુકમ કાયમ રાખવામાં આવ્યો છે. કલેકટરની કોર્ટમાં રિસ્પોન્ડન્ટ તે પિતા કેશરાભાઈ હાલાઈના એડવોકેટ તરીકે ભરતભાઈ વી. શેઠ અને દર્શન એ. શેઠ રહ્યા હતા. - લોનની રકમ ન ભરનારા... `ચેતજો' : આ કેસની વિગત એવી છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માધાપર શાખાએથી ડાહ્યાલાલ ભીમજી ખારેટ વણકર (રે. કુકમા)એ લોનનું ધિરાણ મેળવ્યા બાદ લોનની રકમ ન ભરતાં ના. કોર્ટ દ્વારા લોનની રકમ ભરપાઈ કરી આપવા હુકમ કર્યો હોવા છતાં રકમ ન ભરતાં તેમના વિરુદ્ધ તામીલકામે વોરંટનો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં ડાહ્યાલાલ ભીમજીએ વોરંટની બજવણી સ્થગિત રાખવા અરજી કરીને વાંધાઓ લીધેલા, જે કામે ના. કોર્ટ દ્વારા વાંધાઓ નામંજૂર કરી લોનની રકમ તેમની મિલકતમાંથી વસૂલ કરવા માટે વોરંટનો હુકમ કર્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેંક વતી ભુજના એડવોકેટ કૈવલ્ય એચ. વૈશ્નવે હાજર રહી કાર્યવાહી કરી હતી.