• શનિવાર, 19 એપ્રિલ, 2025

સારા વરસાદની આગાહી

આગામી ચોમાસાના શુભ સમાચાર અને ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા તીવ્ર ઘટાડાથી જનતા સાથે મોદી સરકારને પણ મોટી રાહત મળી છે. ટ્રમ્પનો ટેરિફ વધારો ત્રણ મહિના મુલતવી રખાયો હોવાથી આર્થિક મોરચે નિરાંત અને વિકાસ યોજનાઓ અવરોધ-બ્રેક વિના ચાલુ રહેશે. આપણા હવામાન ખાતાંની આગાહી મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્યથી વધુ વરસાદ થશે. દેશના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક સારો વરસાદ થવાની ગણતરી છે, પણ બિહાર અને તામિલનાડુમાં ખાધ પડશે એવું અનુમાન છે. આગામી મે મહિનાની આખર સુધીમાં વરસાદની વિગતવાર આગાહી જાણવા મળશે. ગયાં વર્ષે પણ વરસાદ સામાન્યથી વધુ થયો હતો, જ્યારે છેલ્લાં ચાર વર્ષમાં સામાન્યથી ઓછો થયો હતો. હવામાન ખાતાંએ કરેલી આગાહી મુજબ દેશભરમાં જૂનથી  સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધુ 105 ટકા વરસાદ પડશે. આનો અર્થ એ કે, 87 સેન્ટિમીટરની લાંબાગાળાની સરેરાશના (લોંગ પીરિયડ એવરેજ - એલપીએ) 105 ટકા જેટલો વધુ રહેશે, જેમાં પાંચેક ટકાના વધારા કે ઘટાડાની શક્યતા રહે છે. આ આગાહી મહત્ત્વની એ કારણસર પણ છે, કેમ કે, ભારતનો 75 ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં પડે છે, પણ આ આગાહીમાં સૌથી રાહતની વાત એ છે કે, આ વર્ષે અલનીનોની શક્યતા નથી દેખાડાઇ. સામાન્ય રીતે દરવર્ષે દેશમાં અલનીનોનાં કારણે સરેરાશથી વધુ વરસાદની સંભાવના રહે છે અને ધારણાથી વધુ વરસાદનાં પગલે પૂર જેવી અણધારી સ્થિતિનું પણ નિર્માણ થાય છે, પણ વર્ષે વરસાદ સામાન્યથી વધુ પડશે તેમાં અલનીનોની ભૂમિકા નહીં હોવાથી વરસાદ આધારિત ખેતી અને તેને આનુષંગિક પ્રવૃત્તિઓ સુચારુ ઢબે ચાલી શકશે. સારા-શ્રીકાર વરસાદની આગાહી કૃષિ ક્ષેત્ર માટે શ્રેષ્ઠ સમયનો વિશ્વાસ જગાવે છે, કેમ કે, દેશના જીડીપીમાં કૃષિનો ફાળો 18.2 ટકા જેટલો છે અને દેશની વસ્તીના 42.3 ટકા લોકો રોજગાર માટે તેના પર આધાર રાખે છે. વળી, કૃષિ જમીનના બાવન ટકા વરસાદ પર આધાર રાખે છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, તેથી જીવન ઉપયોગી અન્ય માલસામાનની આવશ્યક ચીજવસ્તુની માંગ વધશે. ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી માંગ મર્યાદિત હોવાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો નથી. હવે કૃષિ ઉત્પાદન વધતાં ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળશે. ગ્રામ્ય અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. સતત બીજા વર્ષે ચોમાસું સારું હોવાથી અનાજ ઉત્પાદનમાં વધારો થશે. દેશમાં 60 ટકા અનાજ ઉત્પાદન કરતા વિસ્તારોમાં સારા વરસાદનો લાભ મળશે. વર્ષ 2024-25 જુલાઈથી જૂનમાં 34.1 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું. ઉત્પાદન વધતાં છૂટક રિટેલ ફુગાવો ઘટે છે, તેથી મધ્યમ-ગરીબ વર્ગને વધુ રાહત મળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd