ચોબારી, તા. 18 : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં
ભરુડિયા ખાતે આવેલાં એકલ માતાનાં મંદિરે ચૈત્રી પૂનમના ભાતીગળ લોકમેળો યોજાયો હતો.
બે દિવસે મેળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બેદિવસિય મેળામાં પ્રથમ દિવસે
કચ્છના નામાંકિત કલાકારો ઈશ્વર ભલાણી, શીતલ બારોટ, યોગેશ જોશી દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવી હતી. બીજા દિવસે કચ્છ, કાઠિયાવાડ, વાગડ, ગુજરાત,
સૌરાષ્ટ્ર અને રાજસ્થાનની સંસ્કૃતિને
ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભુજના પૂર્વી કલાવૃંદની
બહેનો, પોરબંદરના ચામુંડા લોકરાસમંડળી અને ચોબારી કન્યાશાળાની
બાળાઓએ પોતાની કૃતિ રજૂ કરી હતી. કચ્છના સૌથી નાના ઇન્ફલુએન્સર સંચિત મેરિયાએ ગુજરાતી
ગીતો ઉપર પોતાની રીલ રજૂ કરીને લોકોની દાદ મેળવી હતી. સમસ્ત ભરુડિયા ગામ અને યોગી દેવનાથ
બાપુ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સૌને આવકારાયા હતા. દરેક રાસમંડળીને સન્માનિત કરી
શુભેચ્છાઓ પાઠવાઇ હતી. રાજ્યના માજી નાણાપ્રધાન
બાબુભાઈ મેઘજી શાહ, જિલ્લા પંચાયતના જનકાસિંહ જાડેજા,
અરજણભાઈ રબારી, શ્રવણ કાવડિયા મહંત અને ભરુડિયાના
સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.