ભુજ, તા. 10 : વિશ્વભરના રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાના હેતુથી તા. 14મી જૂનના વિશ્વ રક્તદાન દિવસ ઊજવવામાં આવે છે, જેનો આરંભ ઈ.સ. 2007થી કરાયો છે. રક્તના સમૂહ એ-બી-ઓના શોધક કાર્લ લેન્ડસ્ટેઈનરનો જન્મ 14મી જૂનના થયો હોવાથી આ દિવસ મનાવવામાં આવે છે. આ શોધકને તેની આ શોધ માટે નોબલ પારિતોષિક પણ એનાયત કરાયું છે. વિશ્વને રક્તદાન દિવસનું મહત્ત્વ સમજાવવાના એક પ્રયાસ રૂપે ઊજવવામાં આવતા આ દિવસની આ વખતે ભુજમાં પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવનારી છે. આગામી 14મી જૂન શુક્રવારના એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલ, ભુજ તથા કચ્છના લોકપ્રિય દૈનિક કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ રીતે ઉજવણી કરાશે. આ દિવસ સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી શહેરની જી.કે. જનરલ હોસ્પિટલના બ્લડ બેંક યુનિટના સહયોગથી એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલ ન્યૂ રાવલવાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનારા રક્તદાતાને અકસ્માતમાં ઘાયલ થવાથી, કાયમી કે અંશત: અપંગતા કે મૃત્યુની ઘટના બને તો રક્તદાતા કે તેમના પરિવારને મુશ્કેલીના સમયમાં આર્થિક સહાય રૂપે રૂા. એક લાખની નાણાકીય સહાય આપી શકાય એ માટે રૂા. એક લાખના વીમાની પોલિસી તત્કાલ આપવામાં આવશે. રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા આવનારા રક્તદાતાને વીમા પોલિસી માટે જરૂરી દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. આ પોલિસીનો સમયગાળો એક વર્ષ પૂરતો રહેશે. રક્તદાન કરવા ઈચ્છુક રક્તદાતાએ આ સાથે છપાયેલ ક્યૂઆર કોડ સ્કેન કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રક્તદાનનો મહિમા વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને નવા રક્તદાતાઓને પ્રેરણા મળે એવા હેતુથી યોજાનારા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓને રક્તદાન કરવા અનુરોધ કરાયો છે, જેથી પ્રવર્તમાન સમયમાં કચ્છમાં અનુભવાઈ રહેલી રક્તની ખોટ પણ પૂરી શકાય.