નવી દિલ્હી, તા. 1 : સંબંધ સુધારો, દુશ્મની ખતમ કરો, વાતચીત
કરો... તેવી અપીલ ભારત અને પાકિસ્તાનની 117 હસ્તીએ બંને દેશના વડાપ્રધાનો નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફને
લખેલા પત્રમાં કરી હતી. આ પત્રમાં દક્ષિણ એશિયામાં શાંતિ સ્થપાય અને વિકાસ માટે અનુકૂળ
વાતાવરણ રચાય તે માટે ટકરાવના સ્થાને વાતચીતનો માર્ગ પસંદ કરવાની ભલામણ કરાઇ છે. પૂર્વ
અધિકારી, સામાજિક અને રાજકીય ક્ષેત્રના લોકોએ આ પત્ર
લખ્યો છે. તાણ ઘટાડી, બંને દેશ વચ્ચે વિઝા સેવા શરૂ કરવા તેમજ
હવાઇ ક્ષેત્રને ફરી ખુલ્લું કરવા સહિતની માંગ પત્રમાં કરાઇ છે. ભારત તરફ કાશ્મીરના
પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફતી, રાજદ સાંસદ મનોજ ઝા, મીરવાઇઝ ઉમર ફારૂક, હુમાયુ કબીર સહિત 61 લોકોના પત્રમાં હસ્તાક્ષર છે. પાકિસ્તાન તરફથી પૂર્વ વિદેશમંત્રી
ખુરશીદ મહમૂદ કસૂરી, અશરફ જહાંગીર
કાજી, નેશનલ એસેમ્બલીના સભ્ય ઇસ્ફનયાર ભંડારા તેમજ પરમાણુ વૈજ્ઞાનિક
પરવેઝ હુદમોય સહિત 56 લોકોએ હસ્તાક્ષર
કર્યા છે. આ પત્ર લખનાર 117 અગ્રણીનું
કહેવું છે કે, સતત વધતી શત્રુતા બંને
દેશના વિકાસ, ક્ષેત્રિય શાંતિ, સ્થિરતા,
સામાન્ય લોકોના હિતોને નુકસાન કરી રહી છે. ભારત અને પાકિસ્તાનની સરકારો
પાસેથી આ પત્રમાં 117 હસ્તીએ એકસૂરમાં
કેટલીક માંગ કરાઇ હતી. બે દેશ વચ્ચે જારી તાણ ખતમ કરી વાતચીત શરૂ કરવા દિલ્હી અને ઇસ્લામાબાદમાં
ઉચ્ચાયુક્તની ફરી નિયુક્તિ, ભારત-પાક વચ્ચે
ફરી વિઝા સેવાની માગણીઓ કરાઇ છે. બે દેશના હવાઇ ક્ષેત્ર ખોલવા, ધાર્મિક અને સાંસ્કૃતિક અવરજવરને વેગ અપાય, કાશ્મીર પર
ફરી વાતચીત અને 2004 તેમજ 2007ની સમગ્ર વાર્તા પ્રક્રિયા
પાછી આગળ વધારાય તેવી માંગો પણ પત્રમાં સામેલ કરાઇ છે.