• સોમવાર, 12 મે, 2025

પાકનાં આઠ લશ્કરી મથક નષ્ટ

નવી દિલ્હી, તા. 10 : પાકિસ્તાને ડ્રોન, મિસાઈલ વડે કરેલા ઉશ્કેરણીજનક હુમલાઓનો ભારતે જડબાંતોડ જવાબ આપ્યો છે અને પાકના રફીકી, મુરીદ, રહીમ યાર ખાન, સુક્કુર અને ચુનિયાન ખાતેના લશ્કરી એરબેઝમાં મોટાપાયે નુકસાન પહોંચાડયું હતું. ઓપરેશન સિંદૂરને લઈને આજે સવારે યોજાયેલી ખાસ મીડિયા પરિષદમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, ભારતે એર લોન્ચ, યુદ્ધવિમાનો અને ચોક્કસ લક્ષ્ય સાધતાં શત્ર વડે રફીકી, મુરીદ, ચકવાલ, રહીમ યાર ખાન, સુક્કુર અને ચુનિયાનનાં લશ્કરી મથકોને નિશાન બનાવ્યાં હતાં. પસરુરમાં રડાર મથક અને સિયાલકોટમાં ઉડ્યન મથકને પણ નિશાન બનાવાયાં હતાં. પાકિસ્તાને કરેલા ઉશ્કેરણીજનક હુમલાઓનો ભારતે મજબૂત જવાબ આપ્યો હતો. આજે સવારે રાવલપિંડી સહિતના પાકના શહેરોમાં ધડાકાના અવાજ સંભળાયા હતા. પાકિસ્તાને જણાવ્યું હતું કે, રાવલપિંડીમાં નૂટખાન એરબેઝ, ચકવાલમાં મુરીદ અને પૂર્વ પંજાબ પ્રાંતના ઝાંગ જિલ્લામાં રફીકી મથકમાં હુમલો કરાયો છે. આજે વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે સવારે એક પત્રકાર પરિષદ કરી હતી અને ઓપરેશન સિંદૂરની વધુ જાણકારીઓ જાહેર કરી હતી.  આજે પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, શુક્ર અને શનિવાર દરમિયાનની રાતે સવારે પશ્ચિમી ક્ષેત્રોમાં લાંબા અંતરની મિસાઈલ અને યુદ્ધ વિમાનોથી હુમલા કરીને 26થી વધુ સ્થાનો ઉપર હવાઈ ઘૂસણખોરીના નાકામ પ્રયાસો થયા હતા. ભારતીય સશત્ર સેનાએ પાકિસ્તાનની આ હરકતોને વિફળ બનાવવા ઉપરાંત જવાબી કાર્યવાહી પણ કરેલી છે અને તેમાં પાક.નાં સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. આમાં પાક.ને મોટું નુકસાન થયું છે. કર્નલ સોફિયા કુરેશીએ આજે કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ આખા પશ્ચિમી મોરચે સતત આક્રમક ગતિવિધિઓ જારી રાખી છે, જેમાં યુસીએવી ડ્રોન, લાંબા અંતરની ક્ષમતાવાળા શત્ર, વિસ્ફોટક ડ્રોન અને યુદ્ધવિમાનોનો ઉપયોગ કરીને ભારતના સૈન્ય ઢાંચાને નિશાન બનાવ્યા હતા. નિયંત્રણ રેખાએ પણ ડ્રોનથી ઘૂસણખોરી અને ભારે કેલિબરની બંદૂકોથી ગોળીબાર કર્યા હતા. એલઓસી ઉપર શ્રીનગરથી લઈને કચ્છમાં નલિયા સુધી 26થી વધુ સ્થાને હવાઈ ઘૂસણખોરી અને હુમલાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમાં ઉધમપુર, પઠાણકોટ, આદમપુર અને ભુજ, ભટિન્ડામાં ઉપકરણો અને સૈનિકોને લઈને થોડું નુકસાન થયું છે. પાક. દ્વારા કરવામાં આવતો સિરસા વાયુસેના સ્ટેશનને ધ્વસ્ત કરવાનો દાવો પણ સદંતર ખોટો છે. આવી જ રીતે સુરતગઢ વાયુસેના સ્ટેશનને નષ્ટ કરવાનો દાવો પણ જૂઠો છે. ફરી એકવાર આદમપુરમાં એસ-400 એરબેઝને તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો હતો એ પણ ખોટો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd